મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર રાષ્ટ્રીય બેઠકનું આયોજન
આપત્તિ વ્યવસ્થાપન હવે માત્ર રાહત-પુનઃવસન પૂરતું મર્યાદિત નથી,પરંતુ તેમાં નિવારણ, જાગૃતિ અને સર્વગ્રાહી આયોજનનો પણ સમાવેશ: અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ
આપત્તિ સમયે સૌથી અગત્યનું પાસું સામુદાયિક સ્વયંસેવકોની ભૂમિકા:NDMAના સચિવ
ગાંધીનગર, ગુજરાત રાજ્ય હંમેશા આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે,ત્યારે રાજ્યની આ સજ્જતાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ કહ્યું હતું કે,આપત્તિ વ્યવસ્થાપન હવે માત્ર રાહત અને પુનઃવસન પૂરતું મર્યાદિત નથી રહ્યું,પરંતુ તેમાં નિવારણ,જાગૃતિ અને સર્વગ્રાહી આયોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કેન્દ્રના માળખા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન-DRRના ૧૦ મુદ્દાના એજન્ડા સાથે સંપૂર્ણપણે સુસંગત છે,જે શહેરોથી લઈને ગ્રામીણ સ્તર સુધી વિસ્તરેલો છે.
તેમણે જણાવ્યું હતું કે,આપત્તિ સમયેSEOCદ્વારા તમામ જિલ્લાઓ અને તાલુકાઓ સાથે સંકલન સાધવામાં આવે છે. રાજ્યમાં ભૂતકાળમાં આવેલા વાવાઝોડા તથા પૂર જેવી કુદરતી આપત્તિઓ દરમિયાન થયેલા અનુભવો અને મોકડ્રીલ થકી તૈયારીઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. જેમાં ઓઈલ અને ગેસ ઈન્સ્ટોલેશન તથા ન્યુક્લિયર કેન્દ્રો પર કરવામાં આવેલી સુરક્ષા કવાયતો પર ખાસ ભાર મૂકવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાના નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેક પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવીનતમ પહેલ તરીકે‘સજ્જ સમૂદાય,સુરક્ષિત ગામ‘પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે,જેમાંBISAGના માધ્યમથી ગામડાઓ અને તાલુકા સ્તરના લાખો નાગરિકોને સતત ઓનલાઇન અને હાઇબ્રિડ તાલીમ આપવામાં આવે છે.
આપત્તિ વ્યવસ્થાપન ભંડોળનો મહત્તમ ઉપયોગ કરીને વીજળીના ટાવરોની મજબૂત કનેક્ટિવિટી,અવિરત ઇલેક્ટ્રિસિટી જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરે ૧૮ હજારથી વધુ ગ્રામ પંચાયતોને પ્રાથમિક સાધનોની કિટ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે,તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-NDMAના સચિવ શ્રી મનીષ ભારદ્વાજે જણાવ્યું હતું કે,આપત્તિ સમયે સૌથી અગત્યનું પાસું સામુદાયિક સ્વયંસેવકોની ભૂમિકા છે. કોઈપણ આપત્તિ સમયે સૌથી પહેલો પ્રતિસાદ સ્થાનિક નાગરિકો જ આપે છે. જેથી સામાન્ય નાગરિકો,ડ્રાઈવરો અને વેપારીઓને પણ સીપીઆર અને પ્રાથમિક સારવાર જેવી તાલીમ આપવી જોઈએ. સરકારી અને ખાનગી શાળાઓમાં અગ્નિ સુરક્ષાના કડક ધોરણોનું પાલન થવું જોઈએ. જો આ પ્રકારના વ્યાપક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવે તો તે સમગ્ર દેશ માટે એક આદર્શ મોડેલ બની શકે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે,રાજ્યના કોઈપણ ખૂણે આગ લાગવાની ઘટના બને ત્યારે ફાયર બ્રિગેડનો પ્રતિસાદ સમય ૫ મિનિટથી ઓછો હોવો જોઈએ. આ ઉપરાંત,જંગલમાં લાગતી આગ જેવી ઘટનાઓને રોકવા માટે વન વિભાગોને પણ આધુનિક ટેકનોલોજી,સાધનો અને પ્રોજેક્ટ્સથી સજ્જ કરવાની જરૂરિયાત પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.
શ્રી ભારદ્વાજે કહ્યું હતું કે,સમગ્ર દેશના શહેરોએ પૂર અથવા વાદળ ફાટવા જેવી કુદરતી આપત્તિઓ સામે ૧૦૦ ટકા સક્ષમ બનવું જોઈએ. જ્યારે પણ આવી કટોકટી સર્જાય,ત્યારે શહેર-ગ્રામીણ વિસ્તારની વીજળી,નિકાસ સુવિધાઓ અને પરિવહન જેવી આવશ્યક સેવાઓમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. જે માટે સરકારના તમામ વિભાગોએ સાથે મળીને કામ કરવું જોઈએ.

