ગાંધીનગર મનપાની ર૪ કલાક પાણી આપવાની યોજના વારંવાર ખોરંભે-મેઈન લાઈનના ભંગાણનું રીપેરિંગ બે દિવસ ચાલ્યું, હવે પાણી આવશે કે કેમ…?
ગાંધીનગર, ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલો કરોડોની ગ્રાન્ટનો મહત્ત્વકાંક્ષી સ્માર્ટ સિટી પ્રોજેકટ સમયની સાથે અત્યંત નબળો પૂરવાર થઈ રહ્યો છે. આ પ્રોજેકટ હેઠળ રૂપિયા ૩રપ કરોડના માતબર ખર્ચે નાંખવામાં આવેલી ર૪ કલાક પાણી વિતરણના નેટવર્કમાં વારંવાર ભંગાણ પડતા યોજના નિષ્ફળ ગઈ હોવાના શહેરીજનોમાં આક્ષેપ ઉઠયા છે.
શહેરના સેકટર-પ/૧૩ની ચોકડી પાસે મેઈન લાઈનમાં રવિવારે ભંગાણ પડતા સમગ્ર માર્ગ વગર વરસાદે પાણીથી તરબોળ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, જૂની ડિઝાઈનની પાઈપ હોવાથી તેનો ૧૦ મીટરનો ટુકડો છેક અમદાવાદથી મંગાવવો પડયો હતો
જેના પગલે લાંબી જહેમત બાદ લાઈન રિપેર કરવામાં આવી છે અને સોમવાર સાંજથી પાણી પુરવઠો રાબેતા મુજબ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જો કે, રવિવાર અને સોમવાર એમ બે દિવસના પાણીના કકળાટ બાદ હવે મંગળવારે પણ નળમાં પાણી આવશે કે કેમ તે ચિંતા નગરજનોને સતાવી રહી છે.
રવિવારે સર્જાયેલા ભંગાણના પગલે સોમવારે પણ નવા સેકટરોમાં પાણીની રામાયણ યથાવત રહી હતી. તંત્ર દ્વારા મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી જે સોમવાર સુધી ચાલી હતી. ત્યારે સાંજથી પાણી પુરવઠો યથાવત થવાના દાવા વચ્ચે આવતીકાલે મંગળવારે પણ નળમાં પાણી આવકે કે કેમ તે ચિંતા નગરજનોને સતાવી રહી છે.
આ સમગ્ર ઘટનામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અંદાજે ૩રપ કરોડ જેવી જંગી રકમ ખર્ચ્યા હોવા છતાં નવા સેકટરોમાં નવી પાઈપલાઈનોને બદલે દાયકાઓમાં જૂની લાઈનો પર જ આખી યોજનાનો ભાર નાંખી દેવામાં આવ્યો છે. આ જૂની લાઈનો સતત પાણીના ફોર્સને સહન કરવા માટે સક્ષમ નથી. જેના કારણે વારંવાર ભંગાણની સમસ્યા સર્જાતી રહેશે તેવી ભીતિ નગરજનો સેવી રહ્યા છે.

