Dussehra Celebration in Ahmedabad: દશેરાનું પર્વ આજે (ગુરુવાર) અમદાવાદ શહેરમાં ભવ્ય ધામધૂમથી ઉજવાશે. આ અવસરે વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રાવણ દહનના કાર્યક્રમો યોજાશે, જ્યાં હજારો લોકો ઉમટી પડશે.
મુખ્ય સ્થળોએ ભવ્ય આયોજન
શહેરના ખોખરા રેલવે ગ્રાઉન્ડ, અમરાઈવાડી નાગરવેલ હનુમાન મંદિર, સાબરમતી ડી-કેબિન, તેમજ ભાડજ સ્થિત ઈસ્કોન મંદિર ખાતે વિશાળ રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે.
ખોખરા રેલવે ગ્રાઉન્ડ ખાતે લગભગ છ દાયકાથી વધુ સમયથી આ પરંપરા ચાલી રહી છે. અહીં 45 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન સાંજે કરવામાં આવશે.
અમરાઈવાડી ખાતેના નાગરવેલ હનુમાન મંદિર પાસે પણ એટલી જ ઊંચાઈનું રાવણ પુતળું દહન કરાશે. અહીં નવ દિવસની રામલીલા બાદ અંતિમ દિવસે રાવણ દહન સાથે કાર્યક્રમ પૂર્ણ થાય છે.
સાબરમતી અને ઈસ્કોન મંદિરે સાંજે 6 વાગ્યાથી રામલીલા, રામદરબાર દર્શન અને રાવણ દહનનું આયોજન છે.
સમાજ અને સોસાયટીઓમાં પણ કાર્યક્રમો
મુખ્ય સ્થળો સિવાય અનેક સોસાયટીઓ, શેરીઓ અને જાહેર સ્થળો પર પણ નાના-મોટા રાવણ દહનના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

