આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII)એ એમએસએમઈ ક્ષેત્રે નવીનતા અને ટેક્નોલોજીકલ પ્રગતિને પ્રોત્સાહન આપવાના હેતુથી માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) સેક્ટરમાં ટેકનોલોજીનો અમલ કરવા પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સમર્થિત આ કોન્ફરન્સનું મંગળવારે રિપબ્લિક ઓફ કોરિયાના એમ્બેસડર ચાંગ જે-બોક અને ભારત સરકારના એમએસએમઈ મંત્રાલયના સંયુક્ત સચિવ મર્સી ઈપાઓની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રસનાના ચેરમેન તથા સીઆઈઆઈ ટાસ્ક ફોર્સના ચેરમેન પિરૂઝ ખંભાતા અને ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
કોન્ફરન્સ દ્વારા એમએસએમઈ સેક્ટરમાં ટેક્નોલોજીના પ્રસાર પર ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય હિસ્સેદારો, નિષ્ણાંતો અને નીતિ ઘડનારાઓ એકસાથે જોવા મળ્યા હતા. આ ઈવેન્ટમાં ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ મોનિટર, ઈન્ડિયા રિપોર્ટ 2022-23નું વિમોચન પણ થયું હતું, જે દેશના ઉદ્યોગસાહસિક ક્ષેત્રમાં મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે. આ પ્રસંગે સંબોધન કરતાં એમ્બેસેડર ચાંગે કોરિયા-ભારત દ્વિપક્ષીય સંબંધોને બળ આપવા એમએસએમઇની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સહભાગીઓને ઉદ્યોગસાહસિકતાની શક્તિનો ઉપયોગ કરીને બંને દેશો વચ્ચેના સહકારને વધુ મજબૂત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
મર્સી ઈપાઓએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમે એમએસએમઈ સેક્ટરમાં નવીનતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફના બેનમૂન પરિવર્તનના સાક્ષી હોવાથી, હું ઉદ્યોગસાહસિકોને વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ્સ, સહાયક નીતિઓ અને સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉપલબ્ધ વિપુલ તકોનો લાભ લેવા પ્રોત્સાહિત કરું છું. આવો સામૂહિક રીતે એમએસએમઈ ક્ષેત્રને ઉન્નત કરીએ અને આર્થિક વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપીએ. મંત્રાલયના ઉદ્દેશ્યોને આગળ વધારવામાં અને દેશના આર્થિક વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે ઈડીઆઈઆઈની મુખ્ય ભૂમિકાને હું બિરદાવું છું.
ખંભાતાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપવાનું લક્ષ્ય રાખતા એમએસએમઈ ઉદ્યોગસાહસિકો માટે ઉદ્યોગસાહસિક કુશળતા એ એક મુખ્ય પરિબળ છે. ઉદ્યોગસાહસિકોમાં ઉચ્ચ ઉદ્યોગસાહસિકતા વ્યાપાર ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે, એક સ્થિતિસ્થાપક અને ટકાઉ મોડલ બનાવે છે, આ કોન્ફરન્સ ડોમેનમાં નોલેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા તરફ વૃદ્ધિ માટે એક મોટું પગલું છે. મને ખાતરી છે કે આવા પ્રયાસો અનુભવની વહેંચણી અને પરસ્પર શિક્ષણ માટે પ્લેટફોર્મ આપીને વિશ્વભરમાં એમએસએમઈ વૃદ્ધિને વધુ વેગ આપશે.
ડો. સુનિલ શુક્લાએ તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, એમએસએમઈ એકમો તમામ દેશોમાં અર્થતંત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા આવ્યા છે. ભારતમાં વિવિધ લાભદાયી એમએસએમઈ સંબંધિત યોજનાઓ અને નીતિઓ છે અને તે આ ક્ષેત્રને મજબૂત કરવા માટે સતત માર્ગો અને માધ્યમો સ્થાપિત કરવા માંગે છે. આ કોન્ફરન્સ આ ક્ષેત્રમાં પહેલને મજબૂત કરવામાં મદદ કરશે. આ ખૂબ જ વિચારશીલ પહેલને સમર્થન આપવા બદલ હું એમએસએમઈ મંત્રાલયનો આભાર વ્યક્ત કરું છું.
કોન્ફરન્સમાં 75 સંસ્થાઓના 200થી વધુ રાષ્ટ્રીય અને 74 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કોન્ફરન્સ દરમિયાન, એમએસએમઈ સેક્ટરમાં ટેક્નોલોજીનો અમલ અને સ્પર્ધાત્મકતા, એમએસએમઈમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તકો અને પડકારો, નીતિઓ અને નિયમો, એમએસએમઈ માટે ફ્રેમવર્ક અને એમએસએમઈમાં કૌશલ્ય વિકાસ અને ટેક્નોલોજી અપનાવવી, ઈન્ડસ્ટ્રી 4.0નો લાભ લેવા જેવા મુખ્ય વિષયો પર ઊંડો અભ્યાસ કરવા માટે ટેકનિકલ સેશન્સ યોજવામાં આવશે.
સેશન્સમાં બેંગકોકમાં થાઈલેન્ડની જોઈન્ટ ફોરેન ચેમ્બર ઓફ કોમર્સના એસએમઈ કમિટિના ચેરપર્સન ડો. નિમનુઅલ પીવથોંગમ, શ્રીલંકાના રમતો તથા ગ્રામીણ વિકાસ મંત્રાલયના વિઝિટિંગ લેક્ચરર અમાયા અશાની પાલિહાવાદાના, ઘાનાના સ્ટેટ ઇન્ટરેસ્ટ્સ એન્ડ ગવર્નન્સ ઓથોરિટીના ચાર્લ્સ અમોકો અટ્ટા, વાસા ફાર્માકેમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. જૈમિન વસા, અરુણ્યા ઓર્ગેનિક્સના ચેરમેન અને સીઆઈઆઈ ગુજરાતના ભૂતપૂર્વ ચેરમેન વિનોદ અગ્રવાલ, યુએસએની યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડના અસોસિયેટ પ્રોફેસર ડો. ભારતી મોટવાણી અને ઈડીઆઈઆઈના ડિપાર્ટમેન્ટ ઓફ આંત્રપ્રિન્યોરશિપ એજ્યુકેશનના પ્રોફેસર અને ડિરેક્ટર ડો. સત્ય રંજન આચાર્ય જેવા અગ્રણી વક્તાઓ પ્રવચન આપશે.