બે મુસાફરો પાસે રહેલી ટિકિટના સિરિયલ નંબર એકસરખા જણાતા રેલવેની ટીમ સતર્ક થઈ ગઈ હતી
આરોપીઓ નકલી ટિકિટ વેચીને મુસાફરો પાસેથી પૈસા પડાવતા હતા અને બાદમાં અસલી ટિકિટો કાઉન્ટર પર જમા કરાવી રેલવે પાસેથી રિફંડ લેતા હતા
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુરક્ષા અને પારદર્શક ટિકિટિંગ સિસ્ટમ સુનિશ્ચિત કરવા માટે ચલાવવામાં આવેલા સઘન અભિયાનમાં નકલી રેલ ટિકિટોના એક આંતરરાજ્ય સંગઠિત રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશના સીધા માર્ગદર્શન હેઠળ આ સફળ કામગીરી પાર પાડવામાં આવી છે.
તારીખ ૨૧ માર્ચ ૨૦૨૬ના રોજ પ્રયાગરાજ–અમદાવાદ એક્સપ્રેસ (ટ્રેન નં. ૨૨૯૬૮) જ્યારે અમદાવાદ સ્ટેશને પહોંચી, ત્યારે ટિકિટ ચેકિંગ સ્ટાફના શ્રી નીરજ મહેતા, શ્રી સાજી ફિલિપ અને તેમની ટીમે નિયમિત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બે મુસાફરો પાસે રહેલી ટિકિટના સિરિયલ નંબર એકસરખા જણાતા ટીમ સતર્ક થઈ ગઈ હતી. ક્યુઆર કોડ સ્કેનિંગ અને ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું કે આ ટિકિટો અસલી ટિકિટની હૂબહૂ નકલ (ફોટોશોપ કરેલી) હતી. આ મામલે પ્રાથમિક તબક્કે ૧૫ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.
રેલવેની તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડના તાર પ્રયાગરાજ સાથે જોડાયેલા છે. મુખ્ય સૂત્રધાર વિનય શુક્લા અને ગૌરવ પાંડે, જેઓ પ્રયાગરાજમાં ATVM (ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન) ફેસિલિટેટર્સ તરીકે કામ કરતા હતા, તેમણે આ છેતરપિંડી આચરી હતી.
આ મામલાની ગંભીરતા જોતા ૨૧ અને ૨૨ માર્ચની આખી રાત અમદાવાદ સ્ટેશન પર હાઈ-લેવલ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. DRM વેદ પ્રકાશ અને સિનિયર DCM અનુ ત્યાગીની હાજરીમાં સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. પ્રયાગરાજ વિજિલન્સ વિભાગ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંકલન સાધીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
આરોપી ગૌરવ પાંડે, વિનય શુક્લા અને ફરહાદ વિરુદ્ધ છેતરપિંડી અને રેલવે સુરક્ષાના કાયદા હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ મંડળના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેલવેની આવકને નુકસાન પહોંચાડનારા અને મુસાફરો સાથે છેતરપિંડી કરનારા તત્વો સામે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.

