(એજન્સી)નાગપુર, મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી એક ખાસ કરીને દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. નાગપુર ગ્રામીણના કાટોલ તહસીલના રાઉલગાંવમાં સ્થિત વિસ્ફોટકો બનાવતી કંપની એસબીએલ એનર્જી લિમિટેડમાં આજે સવારે એક મોટો વિસ્ફોટ થયો.
નાગપુર ગ્રામીણ પોલીસ અધિક્ષક હર્ષ પોદ્દારે પુષ્ટિ આપી કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૭ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૮ થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સવારે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે, જ્યારે કંપની ખાણકામ અને ઔદ્યોગિક હેતુઓ માટે વિસ્ફોટકો બનાવી રહી હતી.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો પડઘો ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો, જેનાથી નજીકના ગામોમાં ગભરાટ ફેલાઈ ગયો. દુર્ઘટના સમયે યુનિટમાં અંદાજે ૨૫ થી ૩૦ શ્રમિકો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટના તરત જ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને ચારે બાજુ કાળા ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. સૂચના મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ કાફલો અને દ્ગડ્ઢઇહ્લની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નાગપુરની નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં અનેકની હાલત નાજુક છે. આશંકા છે કે ધડાકાની તીવ્રતા એટલી વધારે હતી કે કેટલાક મજૂરો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા હોઈ શકે છે. બચાવ ટુકડીઓ કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
એસબીએલ એનર્જી લિમિટેડ મુખ્યત્વે માઇનિંગ ક્ષેત્રમાં વપરાતા હેવી વિસ્ફોટકો બનાવે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દારૂગોળાના મિશ્રણ અથવા પેકિંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામીને કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે.

