ચૂંટણી પહેલા ભાજપને ઝટકો -જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણનાનો આક્ષેપ
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોને ફોન કરી તૈયારી કરવાની સૂચના આપતાં જ ભાજપના જુના કાર્યકર અને પૂર્વ પાલિકા પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ છોડીને કોંગ્રેસનો ખેસ પહેરતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો વચ્ચે નગર પાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ માંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો છે.તેમના આ પગલાને ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.રાજીનામા બાદ તરત જ બ્રહ્મભટ્ટે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
મહત્વપૂર્ણ વાત એ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ વોર્ડ નંબર ૮ માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
જીગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ છોડવાનો નિર્ણય લેતા સંગઠન સામે ગંભીર આક્ષેપો કર્યા છે.તેમણે જણાવ્યું કે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી હોવા સાથે ગંભીર આક્ષેપ કર્યા હતા.તેમણે વધુમાં કહ્યું કે હવે કોંગ્રેસમાં રહીને તેઓ પૂરી તાકાત સાથે કાર્ય કરશે અને ચૂંટણીમાં પક્ષને જીતાડવા માટે પ્રયાસ કરશે.
તેમના આ નિર્ણયથી ભરૂચના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાના સંકેતો વચ્ચે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે બ્રહ્મભટ્ટના આ પગલાનો આવનારી ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પડશે.આ ઘટનાએ અન્ય કાર્યકરોમાં પણ ચળવળ સર્જી છે અને આગામી દિવસોમાં વધુ રાજકીય ફેરફારો જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

