‘હેપ્પી પરિવાર’ દ્વારા ‘હેપ્પી ગુજરાત’ બનાવી શકાશે અને એ રીતે ‘હેપ્પી ભારત’નું સ્વપ્ન સાકાર થશે
વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ સૂત્રને SMVS જેવી સંસ્થાઓ શિક્ષણ અને સંસ્કાર સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા સાકાર કરી રહી છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
ટેકનોલોજીની યુગમાં યુવાનોમાં ચિપ ડિઝાઇન, AI અને એડવાન્સ ટેકનોલોજીના કૌશલ્ય વિકાસ માટે SMVS જેવી સંસ્થાઓ ટેકનિકલ અભ્યાસક્રમો દ્વારા સહયોગી બને
ભૂકંપ, પૂર, વાવાઝોડું કે કોરોના જેવી મહામારીમાં SMVS સંસ્થાની સેવાકીય કામગીરી નોંધપાત્ર
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પૂ. બાપજીના ૯૩મા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
‘સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી’ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ SMVSના સ્થાપક પૂજ્ય બાપજીની દિવ્ય ચેતનાને વંદન કરી, સૌને એકતા, પ્રેમ અને સમરસતાના પર્વ ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સંતો, શાસ્ત્રો અને મંદિરો ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધારસ્તંભ છે. ત્યારે SMVS સંસ્થા શિક્ષણ, સેવા અને સંસ્કારની ત્રિવેણી સરિતા વહાવીને આ સ્તંભોને વધુ મજબૂત કરી રહી છે. પૂજ્ય બાપજીએ વાવેલું ભક્તિનું બીજ આજે વટવૃક્ષ બનીને લાખો હરિભક્તોને સત્સંગનો છાયડો આપી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી પટેલે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીની આજ્ઞાને શિરોમાન્ય રાખીને SMVS દ્વારા કુદરતી કે માનવસર્જિત આફતો-જેવી કે ભૂકંપ, પૂર, વાવાઝોડું કે કોરોના મહામારીમાં હંમેશાં અગ્રેસર રહીને કરવામાં આવતાં સેવાકાર્યોને બિરદાવ્યા હતા.
તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં પૂજ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીના નેતૃત્વમાં આ સેવાકાર્યો વધુ વેગવંતા બન્યા છે. જે અંતર્ગત, આરોગ્ય ક્ષેત્રે SMVS હોસ્પિટલનું નિર્માણ, શિક્ષણક્ષેત્રે ગાંધીનગરમાં કન્યા ગુરુકુળ અને પંચમહાલ જિલ્લામાં આદિવાસી બાળકો માટે નિ:શુલ્ક ગુરુકુળ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય અને શિષ્યવૃત્તિ સહિતની પ્રવૃત્તિઓની તેમણે પ્રશંસા કરી હતી.
શ્રી પટેલે વડાપ્રધાનશ્રીએ આપેલાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ સૂત્રને યાદ કરતાં કહ્યું કે મંદિરો સનાતન ધર્મનું અભિન્ન અંગ છે. તેમના જ નેતૃત્વમાં આજે આપણે હજાર વર્ષની એ સોમનાથ સ્વાભિમાન યાત્રાની ઐતિહાસિક પળના સાક્ષી બનવાનો અવસર મળ્યો છે.

