તારાપુરના પરિવાર સાથે ઠગાઈ, બે સામે ફરિયાદ
આણંદ, આણંદ જિલ્લાના તાલુકા મથક તારાપુર ખાતે રહેતા યુવક, તેનો સાળો અને કુટુંબી ભત્રીજાને વિદ્યાનગરમાં વિઝાનું કામ કરતા બે શખ્સોએ કેનેડાના વર્ક પરમીટ વિઝા કરી આપવાના નામે બનાવટી અને ખોટા ઓફર લેટર, એસેસમેન્ટ લેટર સાચા તરીકે ઉપયોગ કરી રૂ.૪પ.પ૪ લાખ પડાવી લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.
આણંદ જિલ્લાના તારાપુરમાં રહેતા સંદીપ પારેખ તેમજ તેમના સાળા વિજય પારેખ અને કુટુંબી ભત્રીજા પાર્થને કેનેડાના વર્ક પરમીટ મેળવીને કેનેડા જવાની ઈચ્છા હોવાથી તપાસ કરતા હતા. દરમિયાન જુલાઈ ર૦ર૪માં સંદીપ કુમારને વિદ્યાનગર ખાતે શ્રીજી ઈન્ટરનેશનલ વાળા વિઝાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી સંદીપકુમારે પોતાના સાળા વિજય અને ભત્રીજા પાર્થને વાત કરીને ત્રણેય જતા ગત તા.ર૪-૭-ર૦ર૪ના રોજ વિદ્યાનગર ડી-માર્ટની ઉપર આવેલ શ્રીજી ઈન્ટરનેશનલ કન્સલ્ટન્સી નામની ઓફિસે ગયા હતા જ્યાં ધરમવીર યશવીર પુનિયા (રહે.સિગ્મા કોમ્પલેક્ષ, સ્ટેશન રોડ, વિદ્યાનગર, મૂળ રહે.અમદાવાદ) અને હર્ષલ ચંદ્રકાંત આચાર્ય (રહે.પેલેડીયમ કોર્પોરેટ, અમદાવાદ) રૂબરૂ મળ્યા હતા
અને કેનેડાના વર્ક વિઝાની વાત કરતા ધરમવીર અને હર્ષલે કેનેડાના વિઝા ઈન્ટરનેશનલ મોબાલિટી પ્રોગ્રામના આધારે કરવામાં આવશે તેમ જણાવી અસલ પાસપોર્ટ જરૂરી માર્કશીટ ડિગ્રીઓ સાથે ઓફિસે ફરી વખત મળવાનું જણાવ્યું હતું
જેમાં કેનેડાના વિઝાની ફી એક વ્યક્તિના રૂ.ર૦.પ૦ લાખ થશે તેમ પણ જણાવ્યું હતું. ત્યારબાદ સંદીપકુમાર વિજય અને પાર્થ ગત તા.રપ-૮-ર૦ર૪ના રોજ ધરમવીર અને હર્ષલને તેઓની ઓફિસે ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ મળીને ડૉક્યુમેન્ટની કોપીઓ ઓફિસમાં આપી હતી. બાદમાં વિઝા પ્રોસેસ ફીના રૂ.પ૪ હજાર તેમજ વિઝા કરી આપવાના એક વ્યક્તિના રૂ.૧પ લાખ નક્કી થયા હતા.
ધરમવીર તેમજ હર્ષલને એક વ્યક્તિ દીઠ રૂ.૪.પ૦ લાખ લેખે ત્રણ વ્યક્તિના રૂ.૧૩.પ૦ લાખ રોકડા આપ્યા હતા. બાદમાં ટુકડે ટુકડે મળી કુલ રૂ.૩૧.પ૦ લાખ રોકડા ચૂકવી આપ્યા હતા.

