ભૂપેન્દ્ર દાદાએ બનાસકાંઠાની દીકરીને આપેલું વચન પાળ્યું
‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાનશ્રીનો આપેલો કાર્યમંત્ર મુખ્યમંત્રીશ્રીએ સાકાર કર્યો
·દીકરી સામ્યાની એક લાગણી… અને મુખ્યમંત્રીશ્રીનું એક વચન: બનાસકાંઠામાં સાકાર થયો સહજ સંવાદ
·વિડીયો સંવાદમાં આપેલા વચનથી શાળા મુલાકાત સુધી: સામ્યા અને મુખ્યમંત્રીશ્રીનો લાગણીસભર સહજ સંવાદ
·ભણીને કલેક્ટર બનજે” — મુખ્યમંત્રીશ્રીના આશીર્વાદ
·આજે મારું અને મારી સ્કૂલનું સપનું પૂરું થયું: સામ્યા પ્રજાપતિ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની વડીલસહજ વાત્સલ્યતા અને માનવીય સંવેદનશીલતાનો પરિચય અવારનવાર આપતા રહ્યા છે. તેમનો આવો જ એક લાગણીસભર પ્રસંગ બનાસકાંઠા જિલ્લાના પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળામાં જોવા મળ્યો.

તા. ૨૮/૦૪/૨૦૨૫ના રોજ યોજાયેલા એક વીડિયો સંવાદ દરમિયાન ધોરણ–૧માં અભ્યાસ કરતી દીકરી સામ્યા પ્રજાપતિએ સહજતા સાથે મુખ્યમંત્રીશ્રીને પૂછ્યું હતું, “દાદા,તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો?”
આ નિર્દોષ પ્રશ્ન પર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડીલસહજ લાગણીસભર જવાબ આપતાં કહ્યું હતું, “હું જ્યારે ત્યાં આવીશ ત્યારે ચોક્કસ તને મળવા આવીશ.”
મુખ્યમંત્રીશ્રીએ ત્યારે કહેલી આ વાત તેઓના મનમાં હતી અને એટલે જ તેમણે બનાસકાંઠામાં યોજાનારા કાર્યક્રમમાં આ દીકરીના ગામની શાળાની મુલાકાત અવશ્ય ગોઠવવા જણાવ્યું હતું.

