Gujarat cabinet portfolio allocation: ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. આવતીકાલે, 17મી ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ યોજાવાનો છે. આ સમારોહ બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની બેઠક યોજાશે, જેમાં નવા મંત્રીઓને તેમના વિભાગો અને ખાતાઓ ફાળવવામાં આવશે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, આજે મુખ્યમંત્રી સિવાયના લગભગ તમામ વર્તમાન મંત્રીઓના રાજીનામા લેવામાં આવશે. એવી ધારણા છે કે, માત્ર ત્રણથી ચાર વર્તમાન મંત્રીઓને જ તેમના હોદ્દા પર જાળવી રાખવામાં આવશે, જ્યારે બાકીના મંત્રીઓને હટાવીને નવા ચહેરાઓને તક આપવામાં આવશે. આથી રાજ્ય સરકારમાં મોટા પાયે પરિવર્તન થવાનું નિશ્ચિત બની ગયું છે.
આજે સાંજે વિધાનસભા પક્ષની બેઠક યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીના ઉચ્ચસ્તરીય નેતૃત્વ સાથે અનેક બેઠક કરી હતી. તેમાં નવા મંત્રીમંડળ માટેના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આજે સાંજે વિધાનસભા પક્ષની બેઠક યોજાશે, જેમાં નવા મંત્રીઓને શપથ માટે સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલવાની શક્યતા છે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર અને રાજભવન ખાતે શપથવિધિ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુરુવાર રાત્રે 8 વાગ્યે હરિયાણાથી પરત ફરશે. આવતીકાલે સવારે શપથવિધિ બાદ નવી કેબિનેટની બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા પોર્ટફોલિયોની ફાળવણી જાહેર કરવામાં આવશે, જેના પછી નવા મંત્રીઓ તરત જ કાર્યભાર સંભાળશે.
ધનતેરસના શુભ દિવસે નવા મંત્રીઓ ચાર્જ સંભાળશે
દિવાળીના તહેવારોની શરૂઆત સાથે જ ગુજરાતમાં રાજકીય સ્તરે પણ નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. આવતીકાલે યોજાનાર મંત્રીમંડળની શપથવિધિ બાદ નવા મંત્રીઓ ધનતેરસના શુભ દિવસે પોતપોતાના વિભાગો અને કાર્યાલયનો ચાર્જ સંભાળશે તેવી માહિતી મળી રહી છે.
આ વર્ષે ધનતેરસનો દિવસ રાજકીય રીતે પણ શુભ સંકેત લઈને આવી રહ્યો છે. શપથવિધિ બાદ વિભાગોની ફાળવણીની પ્રક્રિયા પૂરી થતા જ મોટાભાગના મંત્રીઓ શુભ મુહૂર્તમાં પોતાના વિભાગોમાં પ્રવેશ કરશે. રાજ્ય સરકારે આ પ્રસંગને શુભ શરૂઆત તરીકે જોવાની તૈયારી કરી છે.
રાજ્ય સરકારમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે આખરે તે અંતિમ તબક્કે પહોંચ્યું છે. મુખ્યમંત્રીએ અમુક અનુભવી મંત્રીઓને જાળવી રાખીને નવા ચહેરાઓને સ્થાન આપવાનો નિર્ણય લીધો છે, જે સરકારના કાર્યમાં નવી ઉર્જા અને ગતિ લાવશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
રાજકીય નિરીક્ષકોના જણાવ્યા મુજબ, ધનતેરસના દિવસે મંત્રીઓ દ્વારા ચાર્જ સંભાળવો એ પ્રતિકાત્મક રીતે “નવું સદભાગ્ય” અને “નવો પ્રારંભ” દર્શાવશે. આમ, આગામી બે દિવસ રાજ્યના રાજકારણમાં ખૂબ જ મહત્વના બનશે. જ્યાં એક તરફ શપથવિધિ સમારોહ સાથે નવી ટીમ કાર્યભાર સંભાળશે અને બીજી તરફ પોર્ટફોલિયોની વહેંચણી પછી સરકારનું નવું સ્વરૂપ જાહેર થશે.
