Gujarat ED Action News: ગુજરાતના પ્રવર્તન નિદેશાલય (ED) એ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલ પર શિકંજો કસ્યા બાદ હવે ગુજરાત જમીન વિકાસ નિગમ, આણંદના તત્કાલીન ફીલ્ડ સુપરવાઈઝર ધીરુભાઈ બાબુભાઈ શર્મા પર કાર્યવાહી કરી છે. ED એ તપાસ બાદ PMLA, 2002 હેઠળ 4.92 કરોડ રૂપિયાની સંપત્તિને કામચલાઉ રીતે જપ્ત કરી લીધી છે. ED ની ગાંધીનગર સ્થિત પ્રાદેશિક કચેરીએ આ કાર્યવાહી અંગે વિગતો શેર કરી છે. ED એ જણાવ્યું છે કે તેણે તત્કાલીન ફીલ્ડ સુપરવાઈઝર ધીરુભાઈ બાબુભાઈ શર્માની 4.92 કરોડ રૂપિયાની સંપત્તિઓને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 ની જોગવાઈઓ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં વ્યાપારી દુકાન, રહેણાંક મકાન, ખેતીની જમીન, નડિયાદ, ગુજરાત સ્થિત જલાશ્રય રિસોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.
ED એ પકડ્યો મની લોન્ડરિંગનો પેટર્ન
ED ના જણાવ્યા અનુસાર, આણંદ સ્થિત ACB પોલીસ સ્ટેશનમાં ધીરુભાઈ બાબુભાઈ શર્મા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલી FIR ના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં તેમના પર 1 એપ્રિલ 2006 થી 31 માર્ચ 2018 ના સમયગાળા દરમિયાન આવકના જાણીતા સ્ત્રોતો કરતા 8.04 કરોડ રૂપિયા (354.56%) ની અપ્રમાણસર મિલકત રાખવાનો આરોપ છે. ધીરુભાઈ બાબુભાઈ શર્મા, તેમના પરિવારના સભ્યો અને તેમની કંપની મેસર્સ જલાશ્રય રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડે સામૂહિક રીતે સુરક્ષિત/અસુરક્ષિત લોન લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે લેવામાં આવેલી લોનની ચુકવણી મુખ્યત્વે વિવિધ બેંક ખાતાઓમાં રોકડ જમા કરાવવા દ્વારા કરવામાં આવી હતી. પરંપરાગત બેંકિંગ ચેનલોનો ઉપયોગ કરવાને બદલે, મોટી માત્રામાં રોકડ તેમના ખાતામાં જમા કરવામાં આવી હતી. જેને તાત્કાલિક લોન ચુકવણી તરીકે કૃષ્ણા ફાઇનાન્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ પેટર્ન મની લોન્ડરિંગની એક ક્લાસિક ટેકનિક દર્શાવે છે, જેમાં ગેરકાયદેસર નાણાંને પહેલા રોકડ જમા દ્વારા બેંકિંગ સિસ્ટમમાં લાવવામાં આવે છે અને પછી નાણાકીય જવાબદારીઓ ચૂકવવા માટે ઉપયોગમાં લેવાય છે, જેથી તેનો સ્ત્રોત છુપાવી શકાય.
ધીરુભાઈ શર્મા ફંડની હેરાફેરીમાં ફસાયા
ED એ કહ્યું છે કે આ ઉપરાંત કેટલીક ચુકવણીઓ અનેક ખાતાઓ દ્વારા કરવામાં આવી હતી. જેનાથી નાણાકીય લેવડદેવડ વધુ જટિલ બની ગઈ અને નાણાંના વાસ્તવિક સ્ત્રોતને છુપાવવા માટે ભંડોળની હેરાફેરીની શંકા ઊભી થઈ. જલાશ્રય રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના ધીરુભાઈ શર્માના પુત્ર અને પત્ની દ્વારા 2007 માં 5.40 લાખ રૂપિયામાં ખરીદેલી 52 ગુંઠા જમીન પર 01 ફેબ્રુઆરી 2012 ના રોજ કરવામાં આવી હતી. રિસોર્ટને શરૂઆતમાં 5.50 કરોડ રૂપિયાની સુરક્ષિત લોન મળી હતી અને બાદમાં 2018 માં 7.85 કરોડ રૂપિયાની લોન લઈને તેના ફંડિંગમાં વધારો કરવામાં આવ્યો હતો. ધીરુભાઈ શર્મા અને તેમના પરિવારે 2015-2020 દરમિયાન રિસોર્ટના વિકાસ માટે 1.19 કરોડ રૂપિયાની અસુરક્ષિત લોન પણ લીધી હતી.
ED એ તપાસમાં પકડ્યો આખો ખેલ
ED ના જણાવ્યા અનુસાર, રિસોર્ટના વિકાસ માટે ધિરાણ લોન, બેંક ખાતાઓમાં રોકડ જમા અને વિવિધ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત નાણાંના સંયોજનથી કરવામાં આવ્યું હતું, જેમાં મેસર્સ પ્રેયા સર્વિસીસમાંથી પ્રાપ્ત રકમ પણ સામેલ હતી, જેમાં ધીરુભાઈ શર્માની પુત્રવધૂનો 50 ટકા હિસ્સો છે. આ ઉપરાંત, ધીરુભાઈ શર્માના નામે LIC અને મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સની પોલિસીઓ છે, જે તેમના અને તેમના પરિવારના સભ્યોના નામે છે. તેમણે પ્રીમિયમની ચુકવણી રોકડમાં કરી હતી અને બાદમાં આ પોલિસીની મેચ્યોરિટી રકમ તેમના ખાનગી બચત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ED ના જણાવ્યા અનુસાર હજુ તપાસ પૂરી થઈ નથી. તે ચાલુ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ED એ ગુજરાતના સુરેન્દ્રનગરના કલેક્ટરની ધરપકડ કરી હતી.

