‘હિન્દી દિવસ– ૨૦૨૫’-કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનનો શુભારંભ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘હિન્દી દિવસ-૨૦૨૫’ અને ‘પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.
સમારોહના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે હિન્દી ભાષા પ્રેમીઓને આવકારતા કહ્યું કે, ‘હિન્દી’ એ અન્ય ભારતીય ભાષાઓની હરીફ નથી પરંતુ મિત્ર છે. અગાઉ અખિલ ભારતીય રાજભાષા સંમેલન દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાતું હતું. જેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા અને છેલ્લા પાંચ વર્ષથી આ કાર્યક્રમ દેશના વિવિધ ભાગોમાં યોજાઈ રહ્યો છે. પરિણામે, આપણને રાજભાષા અને દેશની બધી ભાષાઓ વચ્ચે સંચાર વધારવાની ખૂબ જ સારી તક મળી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં શરૂઆતથી જ દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી અને અન્ય ઘણા વિદ્વાનોએ હિન્દી ભાષાને સ્વીકારી તેનો પ્રચાર પણ કર્યો છે. આ દૂરંદેશી નેતાઓએ ભારતીય ભાષાઓને એકબીજા સાથે વાતચીત કરવા અને દરેક રાજ્યમાં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે આગ્રહ કર્યો હતો. ગુજરાતમાં ગુજરાતી અને હિન્દીનું સહઅસ્તિત્વ રહ્યું છે, જેના પરિણામે ગુજરાતી બાળકોની પહોંચ રાષ્ટ્રીય સ્તરે ઘણી વધી છે.
તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હીની બહાર આ પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાઈ રહ્યું છે. આ સંમેલન ભાષાપ્રેમીઓને નવી દ્રષ્ટિ, ઉર્જા અને પ્રેરણા આપે છે. આજે આ પરિષદમાં ઘણા પ્રકાશનો પ્રકાશિત થયા છે. જે ભાષા પ્રત્યેના આપણા પ્રેમ અને શૈલીઓમાં ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. મંત્રીશ્રીએ કહ્યું કે, હિન્દી બોલચાલ અને વહીવટની સાથે વિજ્ઞાન, ટેકનોલોજી અને ન્યાયની ભાષા પણ હોવી જોઈએ.
સારથીનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી શાહે કહ્યું કે, ‘સારથી’ એક અનુવાદ પ્રણાલી છે, જે થકી હિન્દી ભાષામાંથી ભારતની બધી માન્ય ભાષાઓમાં સરળતાથી અનુવાદ કરી શકાય છે. આ અનુવાદ પ્રણાલીના માધ્યમથી દેશના કોઈપણ રાજ્યમાંથી કરવામાં આવેલા પત્રવ્યવહારનો પ્રત્યુત્તર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તેમની સ્થાનિક ભાષામાં આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, શિવાજી મહારાજે સ્વરાજની લડાઈ દરમિયાન ત્રણ મુદ્દા પર ભાર મૂક્યો હતો-સ્વરાજ, સ્વધર્મ અને સ્વભાષા. આ ત્રણેય બાબતો એકબીજા સાથે જોડાયેલી અને દેશના સ્વાભિમાન સાથે સંબંધિત છે. મહાત્મા ગાંધી ગુજરાત રાજ્ય સાહિત્ય પરિષદના પ્રમુખ હતા અને તેમણે ગુજરાતી શબ્દકોશના નિર્માણમાં પણ ઘણું યોગદાન આપ્યું હતું. તેઓ જાણતા હતા કે જ્યાં સુધી ભાષા મજબૂત ન હોય ત્યાં સુધી કોઈ પણ સમાજ દુનિયા સામે માથું ઊંચું રાખીને ટકી શકતો નથી. આ ઉપરાંત ડિજિટલ ‘હિન્દી શબ્દ સિંધુ’ વિશે તેમણે જણાવ્યું કે, આ શબ્દકોશમાં અંદાજે ૭ લાખ જેટલા શબ્દોનો સમાવેશ થયો છે. જે વર્ષ ૨૦૨૯ સુધીમાં વિશ્વની બધી ભાષાઓમાંનો સૌથી મોટો શબ્દકોશ બનશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિવ્યાંગજનો માટે ખૂબ મહત્વના કાર્યો કર્યા છે. જેના ભાગરૂપે આજે પાંચ દૃષ્ટિહીન ભાઈઓ અને બહેનોને AI-સંચાલિત ચશ્મા આપવામાં આવ્યા છે. આ ચશ્માની વિશેષતા વિશે જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, AI-સંચાલિત ચશ્માની મદદથી દ્રષ્ટિહીન વ્યક્તિ માતૃભાષામાં પણ કાગળ વાંચી શકશે, પરિચિત ચહેરાઓને ઓળખવામાં મદદ મળશે, વોઇસ આસિસ્ટન્ટ સિસ્ટમની મદદથી ચલણ ઓળખી શકશે. આમ, આ ચશ્મા તેમના અંગત સહાયક તરીકે કામ કરશે.
મંત્રી શ્રી શાહે દેશભરના માતાપિતાને અપીલ કરી હતી કે, બાળકો સાથે માતૃભાષામાં વાતચીત કરવી અને તેમને માતૃભાષામાં બોલતા, લખતા અને વાંચતા શીખવવું. ઘણી ભાષાઓના વિદ્વાનો અને મનોવૈજ્ઞાનિકો દ્વારા સાબિત થયું છે કે, જ્યારે બાળક પોતાની ભાષામાં વાંચે, વિચારે, બોલે, વિશ્લેષણ કરે, તર્ક સુધારે અને પોતાની ભાષામાં નિર્ણયો લે તો તેની ક્ષમતા ૩૦ ટકા જેટલી વધી જાય છે.
તેમણે કહ્યું કે, દેશનો દરેક નાગરિક માતૃભાષાને મહત્વ આપે અને રાજભાષાને સહયોગ આપે. સંસ્કૃત ભાષાએ આપણને જ્ઞાનની ગંગા આપી છે, તો હિન્દી ભાષા એ તે જ્ઞાનને દરેક ઘર સુધી પહોંચાડ્યું છે. જ્યારે આપણી સ્થાનિક ભાષાઓએ તે જ્ઞાનને દરેક વ્યક્તિ સુધી પહોંચાડ્યું છે. વડાપ્રધાનશ્રીએ વિવિધ ટેકનોલોજીના માધ્યમથી સ્થાનિક ભાષાઓને મજબૂત બનાવવાનું સુંદર કામ કર્યું છે, જેના ભાગરૂપે ગૃહ મંત્રાલયમાં ભારતીય ભાષા વિભાગની રચના કરવામાં આવી છે. જે ફક્ત સત્તાવાર ભાષાઓ જ નહીં પરંતુ દેશની તમામ ભારતીય ભાષાઓને સુદ્રઢ કરવાનું કામ કરે છે. દેશના લગભગ ૫૩૯ શહેરોમાં તેમજ લંડન, સિંગાપોર અને દુબઈની જેમ વિદેશોમાં પણ સત્તાવાર ભાષા સમિતિની રચના કરવામાં આવી છે.

