Gujarat Regular DGP Appointment: અમદાવાદ: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં રેગ્યુલર DGP (પોલીસ મહાનિર્દેશક)ની નિમણૂક કરવાને બદલે ‘ઈન્ચાર્જ’ કે કાર્યવાહક અધિકારીઓ રાખવાની પ્રથા સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ પ્રથા રોકવા માટે સુપ્રીમ કોર્ટે UPSC ને સત્તા આપી છે કે તેઓ રાજ્યોને સમયસર DGP પસંદગીના પ્રસ્તાવ મોકલવા માટે લખે અને જો તેમ ન થાય તો સીધા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરે. કાર્યવાહક DGP અંગેની આ કડકાઈ બાદ ગુજરાતના અમલદારશાહી વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.
ચર્ચા થઈ રહી છે કે શું ગુજરાતમાં પણ સુપ્રીમ કોર્ટનો આ આદેશ લાગુ થશે? નોંધનીય છે કે ગુજરાત સરકારે વિકાસ સહાય નિવૃત્ત થયા બાદ ડો. કે.એલ.એન. રાવ (KLN Rao) ને ઇન્ચાર્જ DGP બનાવ્યા છે. એ પણ એક સંયોગ છે કે સુપ્રીમ કોર્ટે આ કડક સૂચના તેલંગાણાના કેસને લઈને આપી છે અને ગુજરાતના ઇન્ચાર્જ DGP ડો. કે.એલ.એન. રાવ મૂળ તેલંગાણાના વતની છે.
એપ્રિલમાં ડો. કે.એલ.એન. રાવ બની શકે છે રેગ્યુલર DGP
તેલંગાણામાં છેલ્લા નિયમિત DGP અનુરાગ શર્મા 2017માં નિવૃત્ત થયા હતા, ત્યારબાદ લાંબા સમય સુધી કોઈ ભલામણ મોકલવામાં આવી ન હતી. આ કેસ દરમિયાન જાણવા મળ્યું કે માત્ર તેલંગાણા જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડ જેવા રાજ્યો પણ કાર્યવાહક DGP થી કામ ચલાવી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી નિયમિત DGP હતા, પરંતુ હાલની સ્થિતિ જોતા હવે ચર્ચા છે કે ટૂંક સમયમાં જ કે.એલ.એન. રાવને રેગ્યુલર DGP તરીકે જાહેર કરવામાં આવી શકે છે.
ગુજરાતમાં શું છે ગૂંચ?
જાણકારોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ ગુજરાત સરકાર DGP પદ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે. રાજ્યમાં હાલ સૌથી સિનિયર IPS અધિકારી ડો. શમશેર સિંહ છે. કેન્દ્રમાંથી પરત આવ્યા બાદ તેઓ નિમણૂકની રાહ જોઈ રહ્યા છે, જોકે તેઓ 31 માર્ચ ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. સરકારે ડિસેમ્બરમાં વિકાસ સહાયનો કાર્યકાળ પૂરો થયા પછી 1992 બેચના અધિકારી ડો. કે.એલ.એન. રાવને વધારાનો ચાર્જ સોંપ્યો હતો. તે સમયે તેઓ DGP (CID ક્રાઈમ), રેલવે અને જેલ વહીવટની જવાબદારી સંભાળતા હતા.
1 એપ્રિલથી ફેરફારની શક્યતા
અત્યાર સુધી ડો. કે.એલ.એન. રાવના કામકાજમાં કોઈ મોટો ફેરફાર થયો નથી, તેઓ DGP ના હોદ્દાની સાથે અગાઉના તમામ કાર્યભાર પણ સંભાળી રહ્યા છે. એવી પ્રબળ શક્યતા છે કે:
શમશેર સિંહ 31 માર્ચે નિવૃત્ત થયા બાદ ગુજરાતમાં રેગ્યુલર DGP ની નિમણૂક થશે.
ત્યારબાદ ડો. કે.એલ.એન. રાવનું કામ હળવું કરી CID ક્રાઈમ, રેલવે અને જેલ વહીવટની જવાબદારી અન્ય DGP રેન્કના અધિકારીઓને સોંપવામાં આવી શકે છે.

