રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજે કુલ ૮.૩૩ લાખથી વધુ પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન
Ø ખિજડીયા પક્ષી અભયારણ્યમાં ૩૩૪ પ્રજાતિઓના ત્રણ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા
Ø નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં અંદાજે કુલ ૪.૬૭ લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા
Ø વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં ૫૪ હજારથી વધુ પક્ષીઓ નોંધાયા
Ø કચ્છ વિસ્તારમાં વર્ષ ૨૦૨૫માં અંદાજે ૨,૫૬૪ પક્ષીઓ જોવા મળ્યા
સમગ્ર વિશ્વમાં આશરે ૯,૦૦૦ જેટલા વિવિધ જાતિના પક્ષીઓમાંથી ૧,૨૦૦ જાતિના પક્ષીઓ ભારતમાં જોવા મળે છે. જેમાંથી ૪૦૦થી વધુ પ્રજાતિઓ પરદેશી પ્રવાસી પંખીઓની છે. આ યાયાવર પક્ષીઓ સાયબીરીયા, પૂર્વ યુરોપ,ઉત્તર અને મધ્ય એશિયામાંથી ગુજરાત સહિત ભારતમાં આવે છે.

રાજ્યમાં પક્ષી-પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધનની સાથે પર્યાવરણના જતન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલી બનાવી છે, જેને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. જેના પરિણામે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી યાયાવર પક્ષીઓ અને પ્રાણીઓ માટે સૌથી વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીના માર્ગદશનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણી-પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા તેમના સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાત વિશ્વભરના પક્ષીઓ માટે પસંદગીનું રાજ્ય બન્યું છે ત્યારે છેલ્લા એક વર્ષમાં જામનગરના ખિજડીયા પક્ષી અભયારણ્યમાં ૩૩૪ પ્રજાતિઓના અંદાજે ૩,૦૯,૦૬૨ પક્ષીઓ નોંધાયા છે. વર્ષ ૨૦૨૪ની છેલ્લી ગણતરી મુજબ નળ સરોવરમાં વિવિધ ૧૭થી વધુ પ્રજાતિઓના ૪.૧૨ લાખથી વધુ તેમજ થોળ પક્ષી અભયારણ્યમાં વિવિધ ૧૭થી વધુ પ્રજાતિઓના ૫૫,૫૮૭ પક્ષીઓ આમ કુલ ૪.૬૭ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. જ્યારે વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં વર્ષ ૨૦૨૪-૨૫માં યાયાવર પક્ષીઓની ૪૧ જાતિઓની અંદાજિત ૩૫,૯૩૨ સંખ્યા, વિવિધ પાંચ જાતિઓની અંદાજિત ૫,૧૪૭ તેમજ ૯૧ સ્થાનિક પક્ષીઓની અંદાજિત ૧૨,૯૨૧ સંખ્યા નોંધાઈ છે. જ્યારે કચ્છ વિસ્તારમાં વર્ષ ૨૦૨૫માં અંદાજે ૨,૫૬૪ પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે, જેના પરિણામે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું છે.

જામનગરના ખિજડીયા પક્ષી અભયારણ્યમાં ૩૩૪ પ્રજાતિઓના અંદાજે ૩,૦૯,૦૬૨ પક્ષીઓ નોંધાયા છે. આ વિસ્તારમાં મુખ્યત્વે કાળી ડોક ઢોંક, ગાજ હંસ, પેણ, ફેંલમીગો, નકટો, લુહાર, ચેતવા, ગયણો, કિચડીયા પક્ષીઓ, ગડવાલ, સીસોટી બતક, ચમચો, કાજીયા, કબુત બગલો, મલાર્ડ, ભગતડુ, નીલજલ મુરધો, આઈબીસ, નાની મુરધાબી, કોટન ટીલ સર્પગ્રીવ, કિંગફિશર, કુંજ, કરકરા, પીળી ચાંચ ઢોંક, ગલ, ટન, પતરંગો, શીફટ્, ઈગલ, શકરો, કાઈટ, જળહળ, ટુકટુકીયો, પીળક, દુધરાજ, કાળોકોશી તેમજ મોટી ચોટલી ડુબકી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. આ ઉપરાંત વસ્તી અંદાજ ૨૦૨૩ મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોરની વસ્તી ૨.૮૫ લાખથી વધુ નોંધાઈ છે.

