ગાંધીનગર, 13 માર્ચ: ગુજરાતમાં બેરોજગારીનો દર ૧.૧ ટકા સાથે દેશમાં સૌથી ઓછો છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૩.૨ ટકા કરતા ઘણો ઓછો છે. શ્રમ અને રોજગાર વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ ગુરુવારે વિધાનસભામાં આ માહિતી આપી હતી.
કેન્દ્ર સરકારના પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ને ટાંકીને બાવળિયાએ જણાવ્યું હતું કે, આ આંકડા રાજ્યના રોજગાર અને કૌશલ્ય વિકાસના પ્રયાસોની સફળતા દર્શાવે છે. તેમણે વર્ષ ૨૦૨૬-૨૭ માટે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગની ₹૨,૯૦૨ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરી હતી.
સામાજિક સુરક્ષા અને સુધારા: મંત્રીએ જણાવ્યું હતું કે ૨૯ શ્રમ કાયદાઓને ૪ લેબર કોડમાં એકીકૃત કરવામાં આવ્યા છે, જે ગત ૨૧ નવેમ્બરથી અમલી બન્યા છે. આ સિવાય, સિલિકોસિસ પીડિતોને સારવાર માટે ₹૩ લાખ અને મૃત્યુના કિસ્સામાં પરિવારને ₹૪ લાખની વળતર સહાય આપવામાં આવશે.
બાંધકામ શ્રમિકોની દીકરીઓ માટે ‘મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ’ યોજના હેઠળ ૧૮ વર્ષ માટે ₹૨૫,૦૦૦ ના બોન્ડ (FD) આપવામાં આવશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોના આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં ₹૪ લાખ સુધીના વળતરની પણ જોગવાઈ કરવામાં આવી છે.
વિધાનસભા દ્વારા આ અંદાજપત્રીય માંગણીઓને મંજૂરી આપવામાં આવી હતી.

