(એજન્સી)સુરત, સુરત શહેરમાં માનવ તસ્કરીના ગંભીર ગુનાનો પર્દાફાશ કરતા લિંબાયત પોલીસે ૧૪ વર્ષની સગીરાને કેટરિંગના બહાને લઈ જઈ વેચી દેવાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર લાવ્યો છે.
સમગ્ર મામલામાં મુખ્ય સૂત્રધાર ફરજાના ઉર્ફે ફજ્જો રફીક શાહને પાંચ મહિનાથી ફરાર રહ્યા બાદ ઝડપી પાડવામાં આવી છે. પોલીસ માહિતી મુજબ, લિંબાયત વિસ્તારમાં રહેતી સગીરાને કામની લાલચ આપીને લસકાણા લઈ જવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે સગીરાનો પ્રથમ સોદો ૫૦ હજાર રૂપિયામાં સોયેબ નામના વ્યક્તિ સાથે કરવામાં આવ્યો હતો.
જોકે, લસકાણામાં સગીરા પર બળજબરી કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા આ સોદો રદ થયો હતો. ત્યારબાદ, સગીરાને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે લઈ જઈ એક હિન્દુ યુવક સાથે ૨ લાખ રૂપિયામાં પરણાવી દેવામાં આવી હતી.
સોલાપુરમાં ત્રણ મહિના સુધી યૌન શોષણ. સોલાપુરમાં સગીરાને ત્રણ મહિના સુધી શારીરિક અને માનસિક અત્યાચાર સહન કરવો પડ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, યુવકની બહેને માનવતા દાખવી સગીરાને તેની માતા સાથે વાત કરાવી હતી.

