રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૫ – સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ- એકતાનગરના આંગણે એકતા પ્રકાશ પર્વ- ૨૦૨૫ની ભવ્ય શરૂઆત – પ્રવાસીઓએ આયોજનની ભારોભાર પ્રસંશા કરી
આગામી તા. ૧૫મી નવેમ્બર – ૨૦૨૫ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરાશે, પ્રવાસીઓ વિનામૂલ્યે તેને નિહાળી શકશે
રાજપીપલા, એકતા નગર ખાતે આગામી તા. ૩૧ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. દરમિયાન ઉજાસના પર્વ દિપોત્સવીની પણ તા. ૨૦ ઑક્ટોબરે ઉજવણી થનાર છે.
એકતાનગરમાં પહેલેથી જ નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે, લેસર શો, ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહા આરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિત સમગ્ર એકતા નગરમાં અદભૂત લાઈટિંગથી સજ્જ છે.

ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ દીપોત્સવી પર્વને ધ્યાને લેતા સંભવતઃ ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની ઝળાહળ ઉજવણીનો એકતાનગર ખાતે ગતરોજ તા.17મી ઓક્ટોબરથી ભવ્ય પ્રારંભ થયો છે. જેમાં કુલ ૭.૬ કિમીમાં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી શણગાર કરવામાં આવ્યો છે.
એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે પૂર્વ આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ પ્રકાશના ઉત્સવ દીપોત્સવી પર્વની ઉજવણીના ભાગરૂપે એકતા પ્રકાશ પર્વ તા. ૧૭મી ઑક્ટોબર ૨૦૨૫થી ૧૫ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન ભવ્ય રીતે યોજાઈ રહ્યું છે.
એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવો અને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઈટિંગ નિહાળવાનો અનેરો મોકો છે. આ પ્રકલ્પ હેઠળ ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા સમગ્ર એકતા નગરને દુલ્હનની જેમ લાઈટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે.

SoUADTGAના મુખ્ય કારોબારી અધિકારીશ્રી શ્રી અમીત અરોરા, અધિક કલેક્ટરશ્રી નારાયણ માધુ, CISFના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ અને પ્રવાસીઓની હાજરીમાં આ એકતાપ્રકાશ પર્વને ખૂલ્લું મૂકાયું હતું.
વડોદરાશ્રી પરિવાર સાથે એકતાનગરના પ્રવાસે આવેલા રાકેશભાઈએ જણાવ્યું કે, અહીં આવ્યા ત્યારે રસ્તામાં એકતા પ્રકાશ પર્વના અનેક જગ્યાએ હોર્ડિંગ્સ જોયા ત્યારે આશ્ચર્ય થયું હતું. પરંતુ રાત્રે જ્યારે આ એકતા પ્રકાશ પર્વમાં આવવાનું થયું તો ખૂબજ આનંદ થયો. આ લાઈટિંગથી જાણે અહીં જ સૌ સાથે દિવાળી મનાવી રહ્યા હોય તેવો અનુભવ થાય છે. આ ખૂબ સરસર આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેથી પ્રવાસીઓ અહીં આવે તો અવશ્ય આ પ્રકાસ પર્વની મુલાકાત કરે તેવી અપીલ કરી હતી.

