પાલનપુર, શાળામાં અભ્યાસ કરવા જતા બાળકોના માતા-પિતા સામે લાલબત્તી સમાન કિસ્સો દિયોદર પોલીસ મથકે નોંધાયો છે. જેમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને શાળામાં જ અભ્યાસ કરતો ધો.૧૦નો વિદ્યાર્થી લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી જતાં સગીરાના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દિયોદર પંથકમાં રહેતી અને ધોરણ ૯માં અભ્યાસ કરતી સગીરા ગત તા. ૫/૩/૨૦૨૬ના રોજ ઘરેથી શાળાએ અભ્યાસ અર્થ જવાનું કહી ઘરેથી નીકળી હતી. જેમાં સાંજે ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.
પરિવારજનોએ તપાસ કરતાં સગીરા શાળાએ જઈ ન હોવાનું બહાર આવ્યું હતું. શોધખોળ કરતા શાળામાં ધો.૧૦માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડીને લઈ ગયો હોવાનું બહાર આવતાં પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
દિયોદરમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું લગ્ન કરવાના ઇરાદે અપહરણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર ધો.૧૦નો વિદ્યાર્થી પણ શાળાએથી પરત ઘરે ના આવતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જેમાં સગીરાના પિતાએ આરોપીના પિતાને સમગ્ર હકીકતથી વાકેફ કરતાં આરોપીના પિતાએ પણ શોધખોળ શરૂ કરી છે. આ બનાવને લઈ સમગ્ર કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.SS1MS

