પાલનપુર, થરાદ તાલુકાના કરબુણ ગામે પત્નીએ પોતાના પ્રેમ વચ્ચે આડખીલી બનતા પતિને રોકવા માટે પ્રેમીને ઉશ્કેરી રાત્રિના સમયે પતિની હત્યા કરાવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
થરાદ તાલુકાના કરબુણ ગામના રણછોડજી ભોમાજીની પત્નીના ગામના અન્ય એક પુરુષ સાથે આડા સંબંધ હોવાની ચર્ચાઓ અગાઉથી ચાલી રહી હતી.આ મુદ્દે રણછોડજીને શંકા જતા વારંવાર કલહ સર્જાતો હતો. અંતે પત્નીએ પોતાના પ્રેમીને કહ્યું કે, આપણા સંબંધ બાબતે મારા પતિને ખબર પડી ગઈ છે.
જેથી જો આપણે તેને વચ્ચેથી નહીં હટાવીએ તો એ તને મારી નાખશે. તેથી સાથે મળીને પ્રેમ પ્રકરણમાં આડખીલી બનતા પતિને રસ્તામાંથી દૂર કરવાની ભયાનક સાજિસ રચી હતી.બનાવના દિવસે પત્નીએ પૂર્વ યોજના હેઠળ પતિને ઊંઘની ગોળીઓ આપી બેભાન બનાવી દીધો હતો. ત્યારબાદ પત્ની, પ્રેમી તથા પ્રેમિકાની બહેન ત્રણેયે મળીને કુહાડી જેવા ધારદાર હથિયારના ઘા મારી પતિની નિર્દયતાથી હત્યા કરી દીધી હતી.
ટેકનિકલ સર્વેલન્સ, પૂછપરછ અને પરિસ્થિતિજન્ય પૂરાવાના આધારે સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું.પોલીસે આ મામલે પત્ની ધરમીબેન (રહે. કરબુણ), તેનો પ્રેમી ભાણાભાઈ ભીખાભાઈ માજીરાણા (રહે. કરબુણ) તેમજ આનંદબા કેશરસિંહ ચૌહાણ (રહે. રડોસણ, તા. સુઈગામ) સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને સંભવિત સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.SS1MS

