જયપુરમાં ગુંજ્યો માનવતા અને પ્રતિભાનો મહોત્સવઃ ૨૦૦ પ્રતિભાઓનું સન્માન
(પ્રતિનિધિ) વીરપુર, જયપુરના જગતપુરા સ્થિત સુરેશ જ્ઞાન વિહાર યુનિવર્સિટીના કાલિન્દી ઓડિટોરિયમમાં ભવ્ય ફાઉન્ડેશનના તત્વાધાન હેઠળ યોજાયેલ આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલન અને ગ્લોબલ ડાયમંડ આઈકન એવોર્ડ–૨૦૨૬ સમારોહ માનવતા, પ્રતિભા અને સંવેદનાનો અનોખો સંગમ બની રહ્યો હતો. કેન્સર પીડિતો, ઓટિસ્ટિક તથા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને સમર્પિત આ કાર્યક્રમ માત્ર એક સમારોહ નહીં, પરંતુ સહાનુભૂતિ અને સેવા ભાવનાનો જીવંત ઉત્સવ સાબિત થયો હતો.
આ પ્રસંગે દેશ-વિદેશ તેમજ રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં આગવી સિદ્ધિઓ હાંસલ કરનાર કુલ ૨૦૦ પ્રતિભાશાળી વ્યક્તિઓને ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે ૧૫ દેશોના એવોર્ડીઝની ઉપસ્થિતિએ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય પરિમાણ આપ્યું હતું.
આ ભવ્ય અવસરે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના શ્રી સરસ્વતી હાઇસ્કૂલ, ડેભારીના પ્રતિભાશાળી અને સમર્પિત શિક્ષક અરવિંદભાઈ કે. પટેલને શિક્ષણ, સાહિત્ય, લેખન અને સંપાદન ક્ષેત્રે તેમના ૩૩ વર્ષના અવિરત યોગદાન બદલ ‘બેસ્ટ ટીચર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણને નવી દિશા આપનાર તેમના પ્રયત્નો આજે રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા પામ્યા છે.
તેમની આ સિદ્ધિ મહીસાગર જિલ્લા તેમજ સમગ્ર ગુજરાત માટે ગૌરવનો ગૌરવમય ક્ષણ બની છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રાજસ્થાની લાઠી યુદ્ધ કલા, જાદૂઈ પ્રદર્શન અને સંગીતમય રજૂઆતો દ્વારા સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો અનોખો મેળાપ જોવા મળ્યો હતો.
સમારંભમાં સાહિત્ય, પત્રકારિતા, શિક્ષણ, સમાજસેવા, કલા, જ્યોતિષ, ઉદ્યોગ, કૃષિ, ફિલ્મ અને ફેશન જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાના પરિશ્રમ, પ્રતિબદ્ધતા અને સંઘર્ષના બળે આગવી ઓળખ ઉભી કરનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી, જે સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે. કાર્યક્રમનું સંચાલન આર.જે. સપનાએ સચોટ અને રસપ્રદ રીતે સંભાળ્યું હતું.

