મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લામાં ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૪૬ કિલોમીટરના માર્ગનું ફોરલેન અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત કર્યું
ભરૂચમાં એક જ દિવસમાં એકસાથે રૂ. ૬૩૭ કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો વિકાસ ઉત્સવ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત અને વિઝનરી નેતૃત્વમાં દેશમાં વિકાસની રાજનીતિથી મોટું પરિવર્તન આવ્યું છે – ગુજરાતના વિકાસની ગતિ બમણી થઈ છે:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Bharuch, મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરના ૪૬ કિ.મી.માર્ગને રૂ.૪૦૦કરોડના અંદાજિત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત ભરૂચમાં સંપન્ન કર્યું હતું.
આ રોડ ફોરલેન થવાના પરિણામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે ભવિષ્યમાં દહેજ જવું વધુ સરળ બનશે અને ટ્રાફિક પરનું ભારણ પણ હળવું થશે.
મુખ્યમંત્રીશ્રીએ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત લોકાર્પણ-ખાતમૂહર્તના વિકાસ ઉત્સવમાં એક જ દિવસમાં એક સાથે સમગ્રતયા ૬૩૭ કરોડ રૂપિયાના ૩૪ વિવિધ વિકાસકામો જિલ્લાના નાગરિકોને આપ્યા હતા.
આ વિકાસ કામોમાં રોડ કનેક્ટિવિટી અને માર્ગ સુધારણાના ૫૭૬ કરોડ રૂપિયાના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,તાલુકા રમતગમત સંકુલ,શાળાના ઓરડાઓ અને ભૂગર્ભ ગટર યોજનાના કામોની પણ ભેટ ભરૂચ જિલ્લાને મળી છે.
મુખ્યમંત્રીશ્રીએ ભરૂચને મળેલા આ વિકાસ કામો લોકોના‘ઈઝ ઓફ લિવિંગ’માં વધારો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે,મજબૂત અને વિઝનરી નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી કેવા મોટા વિકાસલક્ષી પરિવર્તન આવી શકે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અનુભવીરહ્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,વડાપ્રધાનશ્રીએ જી.ડી.પી.ના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલા લીધા છે. એટલું જ નહિ,સ્થાનિક ઉત્પાદનને વેગ મળે અને આત્મનિર્ભરતા વધે તે માટે વોકલ ફોર લોકલથી સ્વદેશી ઉત્પાદનોના વધુને વધુ ઉપયોગની પણ હિમાયત કરી છે.
તેમણે ઉમેર્યું કે,વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં દેશમાં પાછલા ૧૧ વર્ષમાં અનેક રિફોર્મ્સ થયા છે અને વિકાસની હરણફાળ જોતાં શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ સતત વધ્યો છે. લોકો ઈમાનદારીથી ટેક્સ ભરતા થયા છે અને તેમને વિશ્વાસ છે કે ટેક્સના આ પૈસા દેશના વિકાસ માટે ઉપયોગમાં આવવાના છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,આઈ.ટી.અને સેવાક્ષેત્રોમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી વિકાસની ગતિ તેજ બની છે અને દેશનું અર્થતંત્ર ઝડપથી વિશ્વમાં ત્રીજા મોટા અર્થતંત્રના સ્થાને પહોંચવા સજ્જ થયું છે.

