રાજ્ય સરકારની બાગાયતલક્ષી યોજનાઓએ અમદાવાદ જિલ્લાના ખેડૂતોને અવનવા કૃષિ પ્રયોગો માટે પીઠબળ પૂરુ પાડ્યું –બાગાયતી અને નવીન કૃષિમાં કાઠું કાઢીને જિલ્લાના ખેડૂતો વિકાસ અને સમૃદ્ધિના માર્ગે
આલેખન:- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
રાજ્યમાં વિકાસની વ્યાખ્યા હવે ઉદ્યોગો કે માળખાગત સુવિધાઓ સુધી સીમિત ન રહીને જમીન સાથે જોડાયેલા ખેડૂતોની આર્થિક ઉન્નતિમાં પણ રહેલી છે. રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી આવા ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ થકી અન્યોને પ્રોત્સાહિત કરવાનો અવસર છે.
રાજ્યમાં પ્રાકૃતિક અને નવીન કૃષિનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. વધુ ને વધુ ખેડૂતો આજે ફળ પાકો, શાકભાજી પાકો અને નવીન કૃષિમાં સારા પરિણામો મેળવી રહ્યા છે. રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ થકી આજે ખેડૂતો સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યા છે.
રાજ્ય સરકારની બાગાયતલક્ષી યોજનાઓએ સાણંદના ચેખલાં ગામના ખેડૂત શ્રી જશુભા વાઘેલાને મધપાલન માટે પીઠબળ પૂરુ પાડ્યું છે. સરકારી યોજનાઓની સહાય અને ખેડૂતની દૃઢ ઇચ્છાશક્તિના સમન્વયથી ખેડૂતો સંઘર્ષથી સમૃદ્ધિ સુધીના સફળ પરિવર્તનનો વિકાસ જોઈ શકે છે એ જશુભાએ સાબિત કર્યું છે.
જશુભા વાઘેલાનો પરંપરાગત ખેતીનો સંઘર્ષ અને નવી દિશા
જશુભા વાઘેલા વર્ષો સુધી ઘઉં અને શાકભાજીની પરંપરાગત ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે, અસ્થિર આબોહવા અને ખેતીના ઊંચા ખર્ચને કારણે તેમની મહેનત પ્રમાણે તેમને સંતોષકારક નફો મળતો નહોતો.
આ આર્થિક સંઘર્ષના સમયગાળામાં જશુભાએ એક નવી દિશા શોધવાનું નક્કી કર્યું. તેમણે સરકારી વિભાગ દ્વારા ઉપલબ્ધ માહિતીનો સહારો લીધો અને બાગાયત ખાતા પાસેથી મધમાખી પાલન વિશે વિસ્તૃત માહિતી મેળવી. તેમણે ખાદી ગ્રામોદ્યોગમાંથી વિશેષ તાલીમ લઈને આ વ્યવસાયનો પાયો નાખ્યો.
સરકારી યોજનાકીય સહાયનું પીઠબળ: મધમાખી પાલનની મધુર સફળતા
જશુભાએ શરૂઆતમાં ૧૦ પેટીઓમાં નાનું રોકાણ કર્યું. પરંતુ, તેમના આત્મવિશ્વાસ અને બાગાયત વિભાગના સક્રિય સહયોગે તેમને ઝડપથી આગળ વધાર્યા. બાગાયત વિભાગની ‘મધમાખી હાઈવ અને કોલોની યોજના’ હેઠળ તેમને ૪૦ પેટીઓ ખરીદવા માટે ₹૮૦,૦૦૦ની મહત્વપૂર્ણ સહાય મળી, જે તેમના વ્યવસાય માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
વ્યવસાયમાં ઉત્તરોતર પ્રગતિ કરતા આજે જશુભા વાઘેલા પાસે કુલ ૩૫૦થી વધુ મધમાખીના બોક્સ છે, અને તેમનો નાનકડો વ્યવસાય આજે એક લાભદાયી ઉદ્યોગ બની ગયો છે.

