Jigisha Patel AAP:ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજની આગેવાન તરીકે ઓળખાતી જિગીશા પટેલ હવે આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાઈ છે. ગુરુવારે અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન જિગીશા પટેલે પાર્ટી સાથે જોડાઈ. બીજા જ દિવસે તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલ વિસ્તારમાં પહોંચ્યા અને સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવી.
આ પગલાં પછી ચર્ચા શરૂ થઈ છે કે શું જિગીશા પટેલ ગોંડલમાંથી ચૂંટણી લડશે? — તેમના શબ્દોમાં, “જો પાર્ટી કહેશે તો હું તૈયાર છું.”
ગોંડલ : પાટીદાર-ક્ષત્રિય રાજનીતિનું કેન્દ્ર
ગોંડલ બેઠક લાંબા સમયથી ક્ષત્રિય નેતાઓના વચસ્વા માટે ચર્ચામાં રહી છે. અગાઉ અહીં પાટીદાર અને ક્ષત્રિય સમુદાય વચ્ચે અનેક રાજકીય તણાવ સર્જાયા હતા. વર્ષો દરમિયાન અહીં અનેક હત્યાઓના કિસ્સાઓ પણ નોંધાયા છે. હાલમાં આ બેઠક પર ભાજપનું વચસ્વ છે, પરંતુ જિગીશા પટેલના આગમનથી રાજકીય હવા બદલાતી દેખાઈ રહી છે.
જિગીશા પટેલે જાહેર જીવનમાં પ્રવેશ પાટીદાર અનામત આંદોલનથી કર્યો હતો. તેમના આક્રમક અને સ્પષ્ટ વલણને કારણે તેઓ લોકપ્રિય બન્યા.
જિગીશા પટેલની પૃષ્ઠભૂમિ
સોશિયલ મીડિયા પ્રોફાઇલ મુજબ, તેઓ ખોડલધામ અમદાવાદની સહ-કન્વીનર છે અને ગોંડલ નાગરિક હિત રક્ષક સમિતિ સાથે સંકળાયેલા છે.
ગોંડલમાં એક સમય પાટીદાર સમાજનો પ્રભાવ હતો, પરંતુ પોપટલાલ સોરઠિયાની હત્યા પછી 1990થી અહીં ક્ષત્રિય સમાજનું વચસ્વ રહ્યું છે. હાલમાં ગીતાબા જાડેજા (જયરાજસિંહ જાડેજાની પત્ની) અહીંથી ભાજપની ધારાસભ્ય છે.
પાટીદાર નેતાઓની નવી રાજકીય દિશા
આમ આદમી પાર્ટીમાં જિગીશા પટેલની એન્ટ્રી ત્યારે થઈ છે જ્યારે પાટીદાર આંદોલનમાંથી ઉપસી આવેલી રેશ્મા પટેલ પહેલેથી જ ભાજપ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવી રહી છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું –
“ગુજરાતના ખેડુતો અને યુવાઓની હાલત ખરાબ છે કારણ કે તમે દર વખતે કમળની ખેતી કરો છો.”
હાલ તેઓ AAPની ગુજરાત મહિલા પ્રાંતીય અધ્યક્ષ તરીકે કાર્યરત છે.
રાજકીય દાવપેચમાં ફેરફાર
AAPના નવા પગલાથી સ્પષ્ટ છે કે પાર્ટી સૌરાષ્ટ્રમાં પાટીદાર વોટબેંકને ટારગેટ કરી રહી છે. ગોંડલ જેવી રાજકીય રીતે સંવેદનશીલ બેઠક પર જિગીશા પટેલને આગળ લાવવું કેજરીવાલનો મોટો રાજકીય દાવ ગણાય છે.

