Kalupur Gadi Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ફાંટાઓમાં કાલુપુર ગાદી લાંબા સમયથી વિવાદના કેન્દ્રમાં રહી છે. એક સમય એવો હતો જ્યારે આ સંસ્થાનું નેતૃત્વ આચાર્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજ સંભાળતા હતા અને સંસ્થામાં શિસ્ત તથા સંયમ દેખાતો હતો. સાધુઓ અને હરિભક્તો સાથે તેમનો સ્નેહભાવ પણ ચર્ચાસ્પદ રહ્યો હતો. પરંતુ સમય જતા નેતૃત્વ બદલાતા જ સંસ્થાના આંતરિક માહોલમાં ફેરફાર આવતો ગયો.
નેતૃત્વ પરિવર્તન બાદ સંસ્થામાં વધતી અસંતોષની લાગણી
તેજેન્દ્રપ્રસાદજી બાદ તેમના પુત્ર કૌશલેન્દ્રજી અને ત્યારબાદ લાલજી વજેન્દ્ર પાંડેએ આગેવાની સંભાળતા સંસ્થામાં અસંતોષ વધતો ગયો. અનેક સાધુઓ અને હરિભક્તોએ પોતાને અવગણવામાં આવતા હોવાની લાગણી વ્યક્ત કરી. પરિણામે કેટલાકે સંસ્થાથી અંતર પણ રાખ્યું. આ સ્થિતિએ કાલુપુર ગાદીની છબી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.
લાલજી વજેન્દ્ર પાંડેએ સ્વીકારેલી વ્યક્તિગત બાબત
થોડા સમય અગાઉ લાલજી વજેન્દ્ર પાંડેએ પોતાની પત્ની સામે નોંધાવેલી ફરિયાદ ચર્ચાનો વિષય બની હતી. આ ફરિયાદમાં તેમણે લગ્ન બાદ બાલી પ્રવાસે ગયાનું સ્વીકાર્યું હતું. આ સ્વીકાર બાદ હરિભક્તોમાં આશ્ચર્ય અને અચંબો ફેલાયો. કારણ કે સંપ્રદાયની શિક્ષાપત્રીમાં આચાર્ય અને ગાદીવાળી માટે કડક ધાર્મિક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શિક્ષાપત્રીના નિયમો અને વર્તન વચ્ચેનો વિસંગત સંદેશ
શિક્ષાપત્રીમાં સ્પષ્ટ રીતે ગાદીવાળાની મર્યાદા અને આચરણ વિશે નિયમો દર્શાવવામાં આવ્યા છે. છતાં જાહેર જીવનમાં દેખાતા કેટલાક કૃત્યો આ નિયમોથી વિરુદ્ધ જણાતા હોવાનો આક્ષેપ થાય છે. હરિભક્તોમાં ચર્ચા છે કે ધાર્મિક ગ્રંથોના નિયમો સામાન્ય ભક્તો માટે જ છે કે નેતૃત્વ માટે પણ સમાન રીતે લાગુ પડે છે. આ વિસંગતતાએ ધાર્મિક મૂલ્યો અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.
દાન-ધર્માદાના ઉપયોગ અંગે ઉઠતા સવાલો
કાલુપુર ગાદી સાથે જોડાયેલા દાન અને ધર્માદાના નાણાંના ઉપયોગને લઈને પણ ચર્ચા તેજ બની છે. હરિભક્તો પ્રશ્ન ઉઠાવે છે કે સંસ્થાના ખર્ચ અને વ્યક્તિગત પ્રવાસ વચ્ચે રેખા ક્યાં ખેંચાય છે. દાન આપનારા ભક્તો સમાજહિત અને સેવા માટે યોગદાન આપે છે તેવી માન્યતા છે. તેથી આ નાણાંના ઉપયોગમાં પારદર્શિતા હોવી જરૂરી હોવાનું મંતવ્ય વ્યક્ત થાય છે.
હરિભક્તોની ચુપકીદી અને વધતો અસંતોષ
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વધુ ચર્ચા હરિભક્તોની મૌન ભૂમિકા અંગે થાય છે. ઘણા ભક્તો ખુલ્લેઆમ સવાલ ઉઠાવવાથી સંકોચ અનુભવે છે. અગાઉ એક હરિભક્તને ધમકી આપવાના આક્ષેપ સાથે જોડાયેલ ઓડિયો ક્લિપ બાદ પણ આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. આ તમામ ઘટનાઓએ સંસ્થાની આંતરિક સ્થિતિ અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.

