khambhalia News :દ્વારકાની નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ખંભાળિયામાં આયોજિત યુવા મહોત્સવમાં અચાનક 50થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતાં અફરાતફરી મચી ગઈ હતી. કાર્યક્રમ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા, જેને પગલે તાત્કાલિક તેમને ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ફૂડ પોઈઝનિંગની આશંકા
પ્રાથમિક અનુમાન મુજબ, વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું મનાય છે, પરંતુ તબિયત ખરાબ થવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થીઓની સારવાર શરૂ કરી હતી.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે અને તેમને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. યુનિવર્સિટી સત્તાવાળાઓએ આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે કાર્યક્રમ અટકાવી દેવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

