આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આધુનિક આરોગ્યધામ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી
::મુખ્યમંત્રીશ્રી::
Øવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં માતબર વધારો થયો
Ø₹૧૦ લાખનું આરોગ્યરક્ષા કવચ આપીને પીએમ મોદીએ જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ખાતે ૧૦ વીઘાના વિશાળ કેમ્પસમાં નિર્માણ પામનાર અત્યાધુનિક મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાત મુહૂર્ત કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખીને જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે,તેના પરિણામે આજે અંતરિયાળ વિસ્તારોમાં પણ અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આધુનિક આરોગ્યધામ બનશે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવાના યજ્ઞમાં પોતાનું યોગદાન આપનાર સૌ દાતાશ્રીઓને સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય ક્ષેત્રે પરિવર્તન લાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે,૧૧ વર્ષના તેમના કાર્યકાળમાં તબીબી સેવાની સાથે તબીબી શિક્ષણમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે.
જ્યારે તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં ૧,૧૭૫ મેડિકલ સીટો હતી તેમના વિઝનરી નેતૃત્વમાં તેમાં માતબર વધારો થયો છે.આના પરિણામે અંતરિયાળ ગામડાઓમાં પણ હવે ડોક્ટરોની સુવિધા સરળતાથી મળતી થઈ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે લોકોનું જીવન સ્વસ્થ રહે અને મોંઘી સારવારનો ખર્ચ ઘટે તે માટે આયુષ્માન યોજના હેઠળ₹૫ લાખની મફત સારવારની વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકારે તેમાં વધુ₹૫ લાખ ઉમેરીને ગુજરાતની જનતાને કુલ₹૧૦ લાખનું આરોગ્યરક્ષા કવચ પૂરું પાડ્યું છે.
આજે દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર અને દરેક જિલ્લામાં કિમોથેરાપી સેન્ટર શરૂ થયા છે,જેના કારણે લોકોને ગંભીર રોગોની સારવાર માટે દૂર જવું પડતું નથી તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

