વકીલો-પક્ષકારોની તબીયત પણ આકરી ગરમીના કારણે લથડતી હોય છે-દરરોજ ૧પ હજાર જેટલા વકીલો, અસીલો, પોલીસ સહિતની અવર-જવર
(એજન્સી)અમદાવાદ,ઘીકાંટામાં આવેલી ફોજદારી કોર્ટમાં ર૬ જેટલી ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટોમાં એર કન્ડીશનર લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ ઉનાળાની બળબળતી ગરમી શરૂ થઈ ગઈ હોવા છતાં ફોજદારી કોર્ટના સાત હજાર જેટલા વકીલો માટે બેઠક વ્યવસ્થામાં વર્ષોથી માંગણી છતાં હજુ સુધીએસીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી.
જેને લઈ વકીલોમાં ભારે નારાજગી પ્રવતી રહી છે. ફોજદારી કોર્ટના ચોથા માળ પર વકીલોની બેઠક વ્યવસ્થાના જુદાજુદા બ્લોક આવેલા હોવાથી ત્યાં એર કન્ડીશનરની સુવિધાયુકત બેઠક વ્યવસ્થા આપવાની માંગણી કરતાં બ્રીજ અનીલ કેલ્લાએ જણાવ્યું હતુંકે ફોજદારી કોર્ટના સાત હજાર વકીલોની આ માંગણી વર્ષોથી છે. પરંતુ સત્તાવાળાઓ દ્વારા તેના પ્રત્યે ધ્યાન અપાતું નથી. પરીણામે વકીલો આખો ઉનાળો કાળઝાળ ગરમીમાં કામ કરવા મજબુર બને છે.
ઉનાળામાં ગરમીનો પારો ઘણીવાર ૪પ.૪૬ ડિગ્રીએ પણ પહોચતો હોય છે. ત્યારે તેવા સમયે વકીલો-પક્ષકારોની તબીયત પણ આકરી ગરમીના કારણે લથડતી હોય છે. કોર્ટ રૂમમાં જ ઢળી પડવાન હૃદયની તકલીફ ઉભી થવાના ચકકર આવવા કે બીપી હાઈ-લો થઈ જવા સહીત બેભાન થઈ જવા સુધીના અનેક બના પણ બની ચુકયા છે. તેમ છતાં સત્તાવાળાઓ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા નથી.
ફોજદારી કોર્ટમાં સાત હજારથી વધુ વકીલો અને દસ હજારથી વધુ પક્ષકારો પોલીસ સ્ટાફ અને કર્મચારીઓની રોજની આવનજાવન રહે છે.
માત્ર વકીલો જ નહી પરંતુ પક્ષકારો ખાસ કરીને સીનીયર સીટીઝનો અને મહિલાઓની તબીયત પણ ગભરામણ ચકકર આવવા, ગરીમના કારણે ઉલટી થવી સહીતની તકલીફોનો ભોગ બનતી હોય છે. તેવા સંજોગોમાં સત્તાવાળાઓએ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલીક ધોરણે એસીની સુવિધા ઉપલબ્ધ બનાવવી જોઈએ તેવી માંગણી કરાઈ છે.

