ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા અનેક ઠેકાણે બેનરો ઉડયા
(પ્રતિનિધિ) હિંમતનગર, હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે સાબરકાંઠામાં બપોર પછી વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ હિંમતનગર સહિત જિલ્લાના અન્ય ઠેકાણે જોરદાર પવન તથા ગાજવીજ સાથે માવઠુ થવાને કારણે જનજીવન થોડોક સમય માટે જાણે કે થંભી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.
ડીઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે ૩ વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે જોરદાર પવન ફૂંકાયો હતો. જેથી કયાંક કાચા છાપરા તથા ઝાડ અને વીજ થાંભલા પડી ગયા હતા. સદ્નશીબે કમોસમી વરસાદને કારણે સાંજે ૬ વાગ્યા સુધી જિલ્લામાં કોઈ જાનહાનીની વિગતો સાંપડી નથી.
ડીઝાસ્ટાર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે ૩ વાગ્યા પછી હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ આકાશ ઘનઘોર વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ મીનીટોમાં જોરદાર પવન શરૂ થયો હતો તે પછી કડાકા ભડાકા સાથે જિલ્લામાં અનેક ઠેકાણે કમોસમી વરસાદ તુટી પડયો હતો.
હિંમતનગરમાં લગભગ અડધો ઈંચ વરસાદ થતાં રસ્તા પર ચોમાસાની જેમ પાણી વહેવા માંડયું હતું. એટલુ જ નહીં પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ઘરની અગાસીમાંથી ધોધ જેવું પાણી પડયું હતું. જિલ્લાના ગાંભોઈ, મોરડુંગરા, ગામડી, જવાનપુરા, બાંખોર, રૂપાલકંપા, હુંજ, ટીબાકંપા, બાવસર, રાયગઢ, દેસાસણ સહિતના અન્ય સ્થળે પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
તો બીજી તરફ જિલ્લાના અન્ય સ્થળે જોરદાર પવન સાથે પડેલા વરસાદને કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડુતોનું ખેતરમાં પડેલું ઘઉંનું ઘાસ પલળી ગયું હતું. તે ઉપરાંત તમાકુના પાકને પણ ઓછાવત્તા પ્રમાણેમાં નુકશાન થયાનું ખેડુતોનું માનવું છે.
ઉનાળુ બાજરી કે જે પાકીને તૈયાર થવાની અવસ્થામાં છે તે બાજરીના છોડ નમી પડયા હતા. ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા સહિતના અન્ય વિસ્તારોમાં પણ માવઠાની અસરો દેખાઈ હતી. હવે જો આગામી દિવસોમાં વધુ માવઠુ થશે તો ખાસ કરીને ખેડુતોને ઉનાળુ પાકમાં નુકશાન થઈ શકે છે.
હિંમતનગરમાં બપોર બાદ લગભગ ૩.૩૦ વાગ્યાના સુમારે વરસાદનું હળવું ઝાપટુ પડયું હતું. જેથી જિલ્લામાં અનેક ઠેકાણે મચ્છરોના થયેલા ઉપદ્રવમાં વધારો થવાની શકયતા છે સાથો સાથ નીચાણ વાળા વિસ્તારોમાં જયાં સુધી વરસાદી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી સ્થાનિક રહીશો માટે આ વરસાદી પાણી સમસ્યા રૂપ બની શકે છે. હિંમતનગરમાં પડેલા વરસાદને કારણે રોડ પર પાણી વહેવાનું શરૂ થતાની સાથે જ અનેક વાહન ચાલકો પણ વરસાદથી ભીંજાઈ ગયા હતા.
કયાં કેટલો વરસાદ પડયો ઃ મંગળવારે બપોર બાદ સાબરકાંઠા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના ભાગરૂપે હિંમતનગરમાં ૧ર મીમી, ઈડરમાં ૦૩, વિજયનગર ૦ર, વડાલી ૦ર, તલોદ ૦૧ જયારે ખેડબ્રહ્મા, પોશીના અને પ્રાંતિજ પંથકમાં સામાન્ય વરસાદ પડયો હોવાનું ડીઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી જણાવાયું છે.

