ભરૂચમાં નવા જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થકી ૨ લાખથી વધુ યુવાનોના સપના સાકાર થશે-વિશ્વમાં ગ્લોબલ કેમિકલ હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત ભરૂચ જિલ્લાના જંબુસરમાં એક હજાર એકરમાં દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક આકાર લઈ રહ્યો છે
અરજદારોને સરળ-સુગમ વહીવટી સેવાઓ પૂરી પાડવા મહેસૂલ વિભાગ દ્વારા રૂ. ૧.૧૭ કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા ૪ જનસેવા કેન્દ્રોનું લોકાર્પણ
નર્મદા પરિક્રમાર્થીઓ માટે ૮ વિશ્રામ હોલ અને ગ્રામીણ સ્તરે ૬૪ નવા પંચાયત ઘરોની ભેટ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા રૂ. ૧૨૪૮.૫૭ કરોડના ૭૩ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત તેમજ રૂ.૧૦૨ કરોડના ૬૬ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી ભરૂચના નાગરિકોને કુલ અંદાજિત રૂ. ૧૩૫૦.૬૮ કરોડના કુલ ૧૩૯ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે,શિક્ષણ,આરોગ્ય,રોડ નેટવર્ક,ખેતી,ઉદ્યોગ જેવા વિકાસના કોઈપણ કામ માટે નાણાની ક્યારેય કમી ન રહે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારે કર્યું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને એક્સલન્સ સુધી અને પ્લેગ્રાઉન્ડથી લઈને પ્લગ એન્ડ પ્લે સુધીનો સર્વગ્રાહી વિકાસ વડાપ્રધાનશ્રીના ડેવલપમેન્ટ મિશનથી થઈ રહ્યો છે,ત્યારે શહેર-જિલ્લામાં જનપ્રતિનિધિઓની નવા વિકાસકામો માટેની રજૂઆત,લાગણી અને માંગણીને પૂર્ણ કરવા રાજ્ય સરકાર હરહંમેશ તત્પર છે.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં આરોગ્ય રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે,ભરૂચ જિલ્લામાં આજે લોકાર્પિત અને ખાતમુહૂર્ત થયેલા માતબર રકમના પ્રોજેક્ટ્સ નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં નોંધપાત્ર વધારો કરશે. માળખાગત સુવિધાઓથી લઈને શિક્ષણ અને આરોગ્ય સુધીના તમામ ક્ષેત્રોમાં થયેલા આ કામો ભરૂચના વિકાસમાં ચાવીરૂપ બનશે.
પૂણ્ય સલિલા મા નર્મદાના પાવન તટેથી કરોડોના વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,ભરૂચ જિલ્લામાં આજે લોકાર્પિત અને ખાતમુહૂર્ત થયેલા આ પ્રોજેક્ટ્સ નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં નોંધપાત્ર વધારો કરશે માળખાગત સુવિધાઓથી લઈને સ્પોર્ટ્સ,પરિવહન,શિક્ષણ અને આરોગ્ય સુધીના તમામ ક્ષેત્રોના શ્રેણીબદ્ધ પ્રકલ્પો ભરૂચ જિલ્લાના વિકાસમાં ચાવીરૂપ બનશે.
મુખ્યમંત્રીશ્રીએ ભૂતકાળના વિકટ દિવસોની યાદ અપાવતા કહ્યું કે,૧૯૬૦માં જ્યારે ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે સંસાધનોની અછત હતી,દૂર દૂર સુધી વિકાસની સંભાવના નજરે પડતી ન હતી,પરંતુ ૨૦૦૧થી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની જે રાજનીતિ શરૂ કરી તેનાથી રાજ્ય આજે આત્મનિર્ભર બન્યું છે. વર્ષ ૨૦૦૧માં રાજ્યનું બજેટ માત્ર રૂ.૩૬,૦૦૦ કરોડ હતું,જે આજે વધીને રૂ.૪ લાખ કરોડને પાર થયું છે.
ઔદ્યોગિક હબ તરીકે ઉભરેલા ભરૂચના વિકાસને વધુ વેગવાન બનાવવા સાથે ભરૂચની એર અને રોડ કનેક્ટિવિટી વધારવા માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતા કહ્યું કે,ભરૂચ,અંકલેશ્વર,દહેજ અને સાયખા જેવા ઔદ્યોગિક વિસ્તારોને વૈશ્વિક સ્તરે જોડવા માટે અંકલેશ્વરમાં એરપોર્ટ ડેવલપમેન્ટનું કામ શરૂ કરાયું છે. અંકલેશ્વર-રાજપીપળાના ૪૪ કિમી લાંબા રોડને રૂ.૭૬૦ કરોડના ખર્ચે હાઇ-સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરવાની કામગીરીનો આરંભ થયો છે,જેનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU)સુધી પહોંચવું સરળ બનશે. લોજિસ્ટિક્સ સુવિધા માટે ભરૂચ-દહેજ રોડને એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસવે બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
એક સમયે ભરૂચ જિલ્લા પંચાયતનું બજેટ ૩૦૦ કરોડ જેટલું હતું,જ્યારે આજે એક જ દિવસમાં જિલ્લા પંચાયત દ્વારા રૂ.૩૦૯ કરોડના કામોની ભેટ આપવામાં આવે છે. વિકાસની રાજનીતિ અને પ્રજાહિતના વિઝનનું આ જીવંત ઉદાહરણ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
રમત-ગમત અને યુવા શક્તિ ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાનને વેગ આપવાના હેતુ સાથે ભરૂચમાં નવા જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થકી ૨ લાખથી વધુ યુવાનોના સપના સાકાર થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે,૨૦૩૦માં જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ રમતો યોજાવાની છે,ત્યારે આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પ્રતિભાશાળી નવયુવાનોને ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડશે.

