ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજ્ય સરકારને કરી રજૂઆત –ઉમરાહ કરવા ગયેલા અંદાજિત 4 હજાર લોકો ફસાયા: ખેડાવાલા
સુરત જિલ્લાના 300થી વધુ હાજીઓ મક્કા-મદીનામાં ફસાયા -મોસાલી, કઠોર અને કોસંબાના હાજીઓ ઉમરાહ માટે ગયા હતા
અમદાવાદ , સમગ્ર ખાડી દેશોમાં સહિત મીડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને લઈને પવિત્ર રમઝાન માસમાં ઉમરાહ માટે બુકિંગ કરાવનારા મધ્યમવર્ગના બિરાદરો અસમંજસમાં છે. આ ઉપરાંત ઉમરાહ માટે મક્કા-મદીના પહોંચી ગયેલા એક હજારથી વધુ લોકો પરિસ્થિતિ શાંત થાય તેની રાહ જોઈ રહ્યા છે.
અમદાવાદની એક ટૂર ઉમરાહ કરી પરત જેદ્દાહ એરપોર્ટ પર પહોંચી અને બ્લાસ્ટ થતા જ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું. ટૂર ઓપરેટરે હાલ તમામ યાત્રીઓને પરત મક્કા લઈ ગયો છે. હવે પરિસ્થિતિ શાંત પડે ત્યાં સુધી તેમને મક્કામાં જ રહેવું પડશે. જેનો ખર્ચ પણ મુસાફરોના ખિસ્સા પર પડશે.
અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર હુમલો કરીને સેંકડો બોમ્બ અને રોકેટમારો ચલાવ્યો છે. જેના વળતા પ્રહારમાં ઇરાને પણ ઇઝરાયેલ પર હુમલો કરવાની સાથે સમગ્ર ગલ્ફ દેશોમાં અમેરિકાના ઠેકાણાં પર હુમલા કરી દીધા છે, જેને લઈને સાઉદી અરેબિયા, દુબઈ, શારજાહ, અબુધાબી અને કુવૈત સહિતના એરપોર્ટ હાલ બંધ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં જે લોકો પવિત્ર રમઝાન માસમાં ઉમરાહ માટે સાઉદી અરેબિયા ગયા છે તેઓ ફસાયા છે.
જ્યારે મધ્યમવર્ગના જે બિરાદરોએ હોટલો અને અન્ય બુકિંગ કરાવ્યા હતા, તેમને પણ હવે બુકિંગ રદ થતાં મોટું નુકસાન થવાની સંભાવના છે. બીજી તરફ અમદાવાદ અને ગુજરાતની ઘણી ટૂર હાલ સાઉદી અરેબિયામાં છે અને તેઓ પરિસ્થિતિ શાંત પડે તેની રાહ જોઈ રહ્યા છે.
ટૂર ઓપરેટર સલીમભાઈ શેખના જણાવ્યા મુજબ અમદાવાદની ટૂરના યાત્રીઓ મક્કાથી ઉમરાહ કરીને જેદ્દાહ આવી ગયા હતા. ત્યારે જ ત્યાં બ્લાસ્ટ થયો હતો.

