(એજન્સી)અમદાવાદ, સમગ્ર દેશમાં ચોથી માર્ચે ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી હતી ત્યારે ગુજરાતમાં આ રંગોનો પર્વ કેટલાક પરિવાર માટે માતમ લઇને આવ્યો હતો. ધૂળેટી પર્વ પર રંગોથી રમ્યા બાદ તળાવમાં ન્હાવા ગયેલા હોલી રસિકોને કાળ ભરખી ગયો હોવાથી ગુજરાતમાં ૧૦થી વધુ ઘટનઓ સામે આવી છે.
ગુજરાતના સુરત, રાજકોટ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, દેવભૂમી દ્વારકા અને નર્મદા સહિતના જિલ્લામાં પાણીમાં ડૂબી જવાથી બાળકો, કિશોરો અને યુવકો સહિક કુલ ૨૪ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે.
સુરત માંગરોળના પાનસરા ગામે ૩ના મોતઃ રંગોભર્યા ધૂળેટીના પર્વ પર કરુણ દુર્ઘટનાનો પહેલો કિસ્સો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામેથી સામે આવ્યો છે. પાનસરા ગામે આવેલી આર આર રેસીડેન્સીમાં ધુળેટીના પર્વની ધમાકેદાર ઉજવણી કર્યા બાદમાં કેટલાક લોકો નજીકમાં આવેલી નદીમાં ન્હાવા માટે ગયા હતા, ત્યારે નદીમાં નહાતા સમયે હેપ્પી સિંહ નામનો યુવક પાણીમાં ડૂબવા લાગતા પરિવારનો ભાઈ ચંદ્ર ભૂષણ બચાવવા પાણીમાં કૂદ્યો હતો અને તે પણ ડૂબવા લાગતા સાથે ન્હાવા આવેલો સંજય પટેલ ( માંગુકિયા ) બંનેને બચાવવા પાણીમાં કૂદ્યો હતો, જોકે પાણી એટલું ઊંડું હતું કે ત્રણેય ત્યાં ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા.
બારડોલીમાં ૩ના મોતઃ સુરત જીલ્લાના જ બારડોલીમાં પણ આવી જ એક ઘટનામાં ૩ના મોત થયા હોવાની માહિતી સામે આવી હતી. બારડોલીના બાબેન ગામે હોળીની ઉજવણી બાદ મીંઢોળા નદીમાં ૫ યુવાનો ન્હાવા પડ્યા હતા. ત્યારે આ પાંચેય મિત્રો પાણીમાં અચાનક ડૂબવા લાગ્યા હતા. જે ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને સુરક્ષિત બહાર કઢાયો હોવાની અને અન્ય એક વ્યક્તિની હાલ શોધખોળ શરૂ હોવાની માહિતી સામે આવી હતી.
જ્યારે બીજી ઘટના, અરવલ્લીના માલપુરમાંથી સામે આવી હતી. જ્યાં માલપુરમાં પણ રંગબેરંગી કલરથી હોળી રમ્યા બાદ તળાવમાં ન્હાવા પડેલા બે કિશોરના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. ધૂળેટીના પર્વે તળાવમાં ન્હાવા પડેલા આ કિશોરોની અચાનક પાણીમાં ડૂબવા લાગ્યા હતા જેની માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા હતા.
ત્રીજી ઘટના, મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકામાંથી સામે આવી હતી. કોઠંબાના રાઘવના મુવાડા ખાતે હોળી અને ધુળેટીની મજા માણી નાકા તળાવમાં નહાવા પડેલા ચાર યુવકો ડૂબ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જ્યાં કોઠંબા પોલીસ અને સ્થાનિક તરવૈયા દ્વારા આ યુવકોને બહાર કાઢતા બે યુવકોનું ઘટનાસ્થળે મોત થયું હોવાની અને અન્ય બે યુવકોને લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.
ચોથી ઘટના, અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામેથી સામે આવી હતી. જ્યાં ધુળેટી રમ્યા બાદ સીતાપુર ગામના ઝોલાસર તળાવમાં ન્હાવા પડેલા ૩ બાળકોના મોત થયા હતા. તળાવમાં ન્હાતી વખતે અચાનક પાંચ બાળકો પાણીમાં નહાવા પડ્યા હતા. જોકે સ્થાનિકોએ તાત્કાલિક ૨ બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, પરંતુ સ્થાનિક લોકો ૩ બાળકોને બચાવી શક્યા નહોતા. બાદમાં ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગ્રામજનોએ સ્થાનિક તંત્રને જાણ કરી હતી, ત્યારે ઘટનાની જાણ થતા જ હાંસલપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે ત્રણ બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહેસાણાના મોટીદાઉ ગામ નજીક ડૂબી જતા ૨ના મોત થયા હતા. સુજલામ સુફલામ કાચી કેનાલમાં કેટલાક યુવાનો ન્હાવા પડ્યા હતા. જે બાદ કેનાલમાં ન્હાવા પડેલા યુવાનોમાંથી ૪ યુવાન ડૂબલા લાગ્યા હતા. જોકે સ્થાનિક તરવૈયાઓની મદદથી ૪ યુવાનોમાંથી બે યુવાનોનો બચાવ થયો હતો, જ્યારે ૨ યુવાનોના મોત થયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કબીરનગર વિસ્તારમાં આવેલા સ્થાનિક તળાવમાં ધુળેટી રમીને ન્હાવા ગયેલા એક કિશોરનું ડૂબી જતાં કરુણ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. મિત્રો સાથે તળાવમાં ઉતરેલ કિશોર અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કિશોરને બચાવી શકાયો નહોતો.
નર્મદા જિલ્લાના સિસોદરા અને ઓરી ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં નહાવા પડેલા ત્રણ યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ, આ યુવકો વડોદરાના કારવણથી સિસોદરા ગામની મસ્જિદમાં એસી રિપેરિંગના કામ અર્થે આવ્યા હતા. બપોરના સમયે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા ત્રણેય મિત્રો નર્મદા નદીમાં નહાવા ઉતર્યા હતા, જ્યાં ઊંડા પાણીમાં એક યુવક ડૂબવા લાગ્યો હતો.
તેને બચાવવાના પ્રયાસમાં અન્ય બે મિત્રો પણ પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતાં ત્રણેયના મોત થયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે દુર્ઘટનાના બે કલાક બાદ પણ સરકારી રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે ન પહોંચતા ગ્રામજનોએ જાતે જ બચાવ કામગીરી શરૂ કરી હતી.

