82 કરોડના ખર્ચે 5025 ચોરસ મીટરમાં તૈયાર થયું નવસારીનું અદ્યતન બસપોર્ટ-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું મંગળવારે નવસારીમાં લોકાર્પણ કરશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય નાગરિકોને એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ આપવાનો આપેલો નવતર વિચાર મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં સાકાર થયો
નવસારી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર તા. ૨૫ નવેમ્બરે નવસારીમાં રૂ. ૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન સુવિધાઓ સાથેના બસપોર્ટનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય નાગરિકોને પણ એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ મળે તે માટે રાજ્યના બસમથકોનો કાયાકલ્પ અદ્યતન સુવિધાઓ સાથેનું કરવાનું વિઝન આપ્યું છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં નિર્માણ થતાં બસ મથકોને વડાપ્રધાનશ્રીના વિઝન અનુરૂપ સુવિધાઓ સાથે બસપોર્ટ તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવીને પી.પી.પી. ધોરણે નિર્માણ પામતા આવા બસપોર્ટમાં મુસાફરોની સુગમતા માટે ડિલક્ષ વેઈટીંગ રૂમ,આર.ઓ. પાણીની વ્યવસ્થા,ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ,રીફ્રેશમેન્ટ માટે કેન્ટીન,દિવ્યાંગજનો માટે વ્હિલચેરની સુવિધા અને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આવા ૧૨ બસપોર્ટનું નિર્માણ થયું છે.
એટલુ જ નહી,મોટા શહેરોના બસપોર્ટમાં મુવી થીએટર,બેન્ક્વેટ હોલ અને શોપીંગ મોલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ૧૩માં બસપોર્ટનું મંગળવાર25મી નવેમ્બરના સાંજે પાંચ વાગ્યે નવસારી ખાતે લોકાર્પણ કરશે તે અવસરે કેન્દ્રીય જલશક્તિમંત્રી શ્રી સી.આર. પાટીલ,રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,આદિજાતી વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળી તથા ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓ સહભાગી થશે.

