મુંબઈઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ Zee Entertainment Enterprises અને Culver Max Entertainment (અગાઉ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા) ના મર્જર પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. એચવી સુબ્બા રાવ અને મધુ સિન્હાની બનેલી NCLTની મુંબઈ બેંચે આ ‘વ્યવસ્થા’ સામે વાંધો ઉઠાવતા લેણદારોની દલીલો સાંભળ્યા બાદ સોમવારે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. ડિસેમ્બર 2021 માં, ઝી એન્ટરટેઈનમેન્ટ અને સોની પિક્ચર્સ તેમના વ્યવસાયોને મર્જ કરવા સંમત થયા હતા. આ ધિરાણકર્તાઓમાં એક્સિસ ફાઇનાન્સ, જેસી ફ્લાવર એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, IDBI બેન્ક, IMAX કોર્પ અને IDBI ટ્રસ્ટીશિપનો સમાવેશ થાય છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ, બીએસઈ, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) અને અન્ય પ્રાદેશિક નિયમનકારો પાસેથી પરવાનગી મેળવ્યા બાદ બંને મીડિયા ગૃહોએ મર્જરની મંજૂરી માટે ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો.
એસ્સેલ જૂથના કેટલાક ધિરાણકર્તાઓએ સ્કીમમાં બિન-સ્પર્ધાત્મક કલમનો સમાવેશ કરવા સામે વાંધો ઉઠાવ્યા બાદ પ્રક્રિયા અટકી ગઈ હતી. Zee Entertainment Enterprises Ltd (ZEEL)ના વકીલ જનક દ્વારકાદાસે જણાવ્યું હતું કે ZEEL અને Sony વચ્ચેની ‘વ્યવસ્થા’ને BSE, NSE અને CCI જેવા નિયમનકારો ઉપરાંત 99.97 ટકા શેરધારકોએ મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે વાંધો ઉઠાવનારા લેણદારોના દાવાની કુલ કિંમત રૂ. 1,259 કરોડ છે. Zeeની કુલ જાહેર હિસ્સેદારી 96.01 ટકા છે, જેમાંથી 70 ટકા હિસ્સો જાહેર સંસ્થાઓ પાસે છે. લગભગ 25.88 ટકા હિસ્સો બિન-જાહેર સંસ્થાઓ પાસે છે જ્યારે પ્રમોટરો પાસે માત્ર 3.99 ટકા હિસ્સો છે. એનએસઈ અને બીએસઈએ એનસીએલટીની મુંબઈ બેંચને એસ્સેલ ગ્રુપની એન્ટિટીના બે ઓર્ડર વિશે જાણ કરી હતી જેમાં પ્રમોટર્સે તેમની પેટાકંપનીઓના લાભ માટે લિસ્ટેડ એન્ટિટીના ફંડ ટ્રાન્સફર કર્યા છે.
તેમાં પુનીત ગોએન્કા સામે સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT) દ્વારા જારી કરાયેલા આદેશનો સમાવેશ થાય છે. SATએ ગોએન્કાને કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડાયરેક્ટર કક્ષાનું પદ સંભાળવા પર પ્રતિબંધ મૂક્યો છે. SAT એ ઝી એન્ટરટેઈનમેન્ટના પ્રમોટર્સ સુભાષ ચંદ્રા અને પુનિત ગોએન્કાને એક વર્ષ માટે કોઈપણ જાહેર લિસ્ટેડ કંપનીમાં બોર્ડ-સ્તરના કોઈ પણ હોદ્દા પર રોક લગાવતા સેબીના આદેશને સમર્થન આપ્યું હતું. મર્જરનો વિરોધ કરી રહેલા ધિરાણકર્તાઓનું કહેવું છે કે આ ઓર્ડરની સીધી અસર પ્રક્રિયા પર પડશે. યોજનાનો એક આંતરિક ભાગ ગોએન્કાને મર્જ થયેલી એન્ટિટીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાનો છે. તેમણે કહ્યું કે ગોએન્કાને આ પ્રકારનું પદ સંભાળવા પર પ્રતિબંધ હોવાથી વિલીનીકરણની યોજના આગળ વધી શકતી નથી.