Nitin Patel controversial Statement: ભાજપ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પરથી જ નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં પક્ષના જ ધારાસભ્ય, મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાબખા માર્યા હતા, જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કડીના સ્થાનિક રાજકારણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. હું કડીને 50 વર્ષથી ઓળખું છું.’
નીતિન પટેલના ‘ચાબખા’
કાર્યક્રમમાં હાજર કાર્યકરો અને નેતાઓને સંબોધતા નીતિન પટેલે એક પછી એક એવા નિવેદનો કર્યા જે સીધા જ વર્તમાન વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા હતા. સ્થાનિક નેતૃત્વ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે ‘કડીને 50 વર્ષથી ઓળખું છું, કોણ ખાડા પાડે છે, કોણ પૂરે છે, તેની બધી ખબર છે.’ તેમણે કાર્યકરોને ચેતવણી આપતા કહ્યું, ‘મને છેતરતા નહીં, એમને છેતરજો.’

