અમદાવાદ, ૭ માર્ચ ૨૦૨૬: અમદાવાદ શહેરમાં વધતી જતી વસ્તી અને ઔદ્યોગિક વિકાસની સાથે ચોરી, લૂંટ અને સ્નેચિંગ જેવા મિલકત સંબંધી ગુનાઓમાં વધારો જોવા મળ્યો છે. અસામાજિક તત્વો ઘણીવાર ચોરીના વાહનોનો ઉપયોગ કરી, પકડાઈ જવાના ડરે તેમાં ફેરફાર (મોડિફિકેશન) કરાવતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩’ ની કલમ-૧૬૩ અન્વયે એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ, અમદાવાદ શહેરના તમામ ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનના માલિકો કે મેનેજરોએ તેમના ત્યાં રિપેરિંગ કે સર્વિસ માટે આવતા દરેક વાહનની વિગતો રાખવી ફરજિયાત રહેશે. ઘણીવાર ગુનેગારો વાહનોના નંબર કે દેખાવ બદલી નાખતા હોય છે, જેના કારણે પોલીસ તપાસમાં વિલંબ થાય છે. હવેથી દરેક ગેરેજ સંચાલકે રજિસ્ટર નિભાવવું પડશે.
ગેરેજ કે સર્વિસ સ્ટેશન પર આવતા વાહનો માટે નીચે મુજબની માહિતી નોંધવી ફરજિયાત છે: ૧. વાહનનો પ્રકાર અને કંપનીનું નામ. ૨. રજિસ્ટ્રેશન નંબર (નંબર પ્લેટ). ૩. એન્જિન નંબર અને ચેસીસ નંબર. ૪. વાહન માલિકનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઓળખ પત્ર (ID Proof). ૫. વાહન જમા કરાવ્યાની અને પરત લઈ ગયાની તારીખ. ૬. વાહન આપનાર અને લઈ જનાર વ્યક્તિની વિગતો.
દરેક ગેરેજ, વર્કશોપ કે સર્વિસ સ્ટેશનના એન્ટ્રી (પ્રવેશ) અને એક્ઝિટ (નિકાસ) ગેટ પર CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે. આ કેમેરાનું ઓછામાં ઓછું ૩૦ દિવસનું રેકોર્ડિંગ સાચવી રાખવાનું રહેશે, જે પોલીસ તપાસ દરમિયાન માંગવામાં આવે ત્યારે બતાવવાનું રહેશે.

