સાબરકાંઠાના સલાલ ખાતે મુખ્યમંત્રીએ ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું-અંદાજિત ૮ કરોડના ખર્ચે સાબરકાંઠામાં ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક વિકસાવવામાં આવ્યો
ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કની મુલાકાત લઇ પાર્કના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વ વિશે જાણકારી મેળવતા મુખ્યમંત્રી
સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના સલાલ ખાતે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા,શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કની મુલાકાત લઇ પાર્કના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વ વિશે જાણકારી મેળવીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે,ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)એ કર્કવૃત્તના વૈજ્ઞાનિક મહત્વ વિશે જાગૃતિ અને સમજણ લાવવા અને વિદ્યાર્થીઓ,શિક્ષકો,સંશોધકો અને સામાન્ય નાગરિકો માટે તેને એક મહત્વપૂર્ણ શૈક્ષણિક અને સંશોધન બિંદુ તરીકે વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે ટ્રોપિક ઓફ કેન્સર (TOC)સાયન્સ પાર્ક વિકસાવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઇવે પર સલાલ ખાતે અંદાજિત રૂપિયા ૮ કરોડના ખર્ચે ૫,૯૩૦ ચોરસ મીટરના વિસ્તારમાં ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક વિકસાવવામાં આવ્યો છે,જે સ્થાન પરથી કર્કવૃત્ત પસાર થાય છે. આ પાર્કની કલ્પના કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વને પ્રકાશિત કરવા અને મુલાકાતીઓને પૃથ્વી-સૂર્ય સંબંધો,ઋતુગત ફેરફારો અને સંબંધિત વૈજ્ઞાનિક ઘટનાઓને સમજવાની આકર્ષક તકો પૂરી પાડવા માટે કરવામાં આવી છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ પર સ્થિત હોવાથી,ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક તમામ મુલાકાતીઓ માટે વૈજ્ઞાનિક શિક્ષણ,વિજ્ઞાન પર્યટનના કેન્દ્ર તરીકે સેવા આપશે.GUJCOSTદ્વારા તમામ શાળાઓ,કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટ્રોપિક ઓફ સાયન્સ પાર્કની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સાયન્સ પાર્ક આવતીકાલથી સવારે9:00કલાકથી સાંજે6:00કલાક સુધી તમામ મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે.
આ તકે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કના પ્રાંગણમાં મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી (IAS) ,સાબરકાંઠાના કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ (IAS),જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અનેGUJCOSTના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

