મેયર પ્રતિભાબેન જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નગરજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના સ્થાપના દિવસ ૨૬ ફેબ્રુઆરી નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા ધામધૂમથી નીકળી હતી.આ યાત્રામાં માતાજીનો સજાવટદાર રથ, નાસિક ઢોલના તાલ, ગજરાજ, વિવિધ અખાડા, અખાડાના કલાકારોના દમદાર પ્રદર્શન, ભજન મંડળીઓના ભક્તિમય ગાન અને મોટી સંખ્યામાં જોડાયેલા વાહનોનો કાફલો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Ahmedabad, Mayor, Pratibhaben Jain says, “Today on 26-02-2026 is Ahmedabad’s foundation day, and heartfelt greetings to all the city residents. The 6 km-long Nagar Yatra of Goddess Bhadrakali, in which local akhadas and residents are participating, is providing a spiritual experience and is a matter of pride for everyone…”
નગરદેવીની યાત્રા શહેરના ઐતિહાસિક વિસ્તારો જેવા કે ત્રણ દરવાજા, માણેકનાથ બાબાનું મંદિર, ગાંધી રોડ, ખાડિયા ચાર રસ્તા અને રાયપુર ચકલા થઈને ચકલેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી. ત્યારબાદ રિવરફ્રન્ટ પર સાબરમતી નદીની આરતી અને મહાલક્ષ્મી માતાજીના મંદિરના દર્શન કરી, વસંત ચોક ગણેશ મંદિર અને બહુચરાજી મંદિર થઈને આ ભક્તિમય નગરયાત્રા હર્ષોલ્લાસ સાથે નિજ મંદિર પરત ફરી હતી. ગત વર્ષથી માતાજીની નગરયાત્રા શરૂ કરવામાં આવી હતી.
સ્થાપના દિવસના પાવન અવસરે આ નગરયાત્રાએ અમદાવાદની આસ્થા, એકતા અને સાંસ્કૃતિક પરંપરાનું અનોખું પ્રતિબિંબ રજૂ કર્યું હતું. “જય ભદ્રકાળી”ના જયઘોષ સાથે ભક્તોએ ઉત્સાહપૂર્વક માતાજીના દર્શન કર્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી માઈભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ પ્રસંગે મેયરશ્રી પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દેવાંગ દાણી, અમદાવાદ પશ્ચિમ સાંસદશ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય અને કોર્પોરેટરશ્રીઓ, વિવિધ કમિટીના ચેરમેન સહિતના મહાનુભાવોએ મા ભદ્રકાળીને નગરજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. .
અમદાવાદના ૬૧૫મા સ્થાપના દિવસ નિમિત્તે ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬એ બુધવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ‘ધ દૂરબીન’ દ્વારા આયોજિત “અસ્તિત્વનો ઉત્સવ ૨.૦” યોજાયો હતો, જે અંતર્ગત માણેકબુર્જ થી માણેકચોક સુધી હેરિટેજ વોક યોજાઈ હતી.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યુ હતું કે અમદાવાદનું અસ્તિત્વ માત્ર ઈમારતોમાં નહીં પરંતુ લોકોની સંસ્કૃતિ, પરંપરા અને જીવનમૂલ્યોમાં વસેલું છે. આવા આયોજનો શહેર પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત બનાવે છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી અમદાવાદના વૈવિધ્યપૂર્ણ વારસાને જનજન સુધી પહોંચાડવા માટે ‘ધ દૂરબીન’ સંસ્થા દ્વારા રવિવારના રોજ વિવિધ પ્રકારની હેરિટેજ વોક યોજી શહેરના ઐતિહાસિક સ્થાપત્યો, હેરિટેજ ફૂડ, સાબરમતી આશ્રમ સહિતના ઐતિહાસિક વારસાને લોકોને અવગત કરવામાં આવે છે. વિશ્વ વારસાગત શહેર અમદાવાદના ઐતિહાસિક અસ્તિત્વ, સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાને નજીકથી અનુભવવાનો આ અનોખો પ્રયાસ હતો.
માણેક બુરજથી માણેક ચોક સુધી યોજાયેલી આ હેરિટેજ વોકમાં નાગરિકો, યુવાનો અને હેરિટેજ રસિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન શહેરના ઐતિહાસિક સ્મારકો વિશે મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સમગ્ર આયોજન શિસ્તબદ્ધ તેમજ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું. અમદાવાદના ૬૧૫મા સ્થાપના દિવસની ઉજવણીને સ્મરણિય બનાવનાર આ હેરિટેજ વોક શહેરના ઐતિહાસિક અસ્તિત્વને નવી ઊંચાઈ આપતો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો છે.
અમદાવાદની સ્થાપનાની ગાથામાં ગુરુ માણેકનાથજીનું વિશેષ મહત્વ રહેલું છે. તેઓ નાથ સંપ્રદાયના મહાન સંત હતા અને ૮૪ સિદ્ધ યોગીઓમાંના એક તરીકે પ્રસિદ્ધ હતા. ૧૩મી અને ૧૪મી સદી દરમિયાન તેમણે પોતાની તપસ્યા અને આધ્યાત્મિક શક્તિ દ્વારા સમાજને માર્ગદર્શન આપ્યું હતું. આજનું પ્રસિદ્ધ માણેકચોક વિસ્તાર તેમના નામ પરથી ઓળખાય છે, જ્યાં તેમનું પવિત્ર સમાધિ સ્થાન આવેલું છે.આ સ્થાન માત્ર એક ધાર્મિક કેન્દ્ર નહીં, પરંતુ અમદાવાદના ઈતિહાસનો આધારસ્તંભ છે.

