વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને નોંધપાત્ર યોગદાન આપનાર જિલ્લાની ૧૬ વિશિષ્ટ વ્યક્તિઓનું રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન
વાવ – થરાદ જિલ્લાને રૂ. ૨૦૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ અપાઈ
જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિકાસ કાર્યો માટે રૂ.૨.૫૦ કરોડના ચેક અર્પણ કરાયા
: રાજ્યપાલશ્રી :
: મુખ્યમંત્રીશ્રી :
૭૭મા પ્રજાસત્તાક દિન- ૨૦૨૬ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત નવીન રચાયેલ વાવ–થરાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદના મલુપુર ખાતે “સરહદનો સાદ – નુતન વાવ–થરાદ” મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વાવ- થરાદ નવો જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત અહીં પ્રજાસત્તાક પર્વની આટલી ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે, જે બદલ સમગ્ર જિલ્લાવાસીઓ અભિનંદનને પાત્ર છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, “ગુજરાતમાં રાજ્યપાલ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન મેં અનેક ભવ્ય કાર્યક્રમો જોયા છે, પરંતુ અહીંની જનતામાં જે શાલીનતા, સભ્યતા અને સરળતા જોવા મળી છે તેવી મેં અગાઉ ક્યારેય જોઈ નથી. અહીંના લોકો ખૂબ જ ભલા અને સંસ્કારી છે.” તેમણે મુખ્યમંત્રીશ્રી દ્વારા નવરચિત જીલ્લા માટે જાહેર કરાયેલા વિવિધ વિકાસ કાર્યો અને ભંડોળને બિરદાવતા કહ્યું હતું કે, નવો જિલ્લો બનતા હવે આ વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે.
રાજ્યપાલશ્રીએ વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયાસો અને બનાસ ડેરીના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે, આ રણ પ્રદેશ જેવા વિસ્તારને હરિયાળો બનાવવામાં સહકારી પ્રવૃત્તિઓનો મોટો ફાળો છે. આ સાથે તેમણે માતા પિતાને અપીલ કરી હતી કે, દીકરા-દીકરીના શિક્ષણમાં ભેદભાવ રાખ્યા વગર બાળકોને ઉચ્ચ શિક્ષણ આપો અને તેમને વ્યસનમુક્ત તથા સંસ્કારવાન બનાવો જેથી તેઓ કુળ અને દેશનું ગૌરવ વધારી શકે.
પશુપાલન સાથે જોડાયેલા આ વિસ્તારના ખેડૂતોને રાજ્યપાલશ્રીએ ‘ઝેરમુક્ત ખેતી’ એટલે કે પ્રાકૃતિક ખેતી અપનાવવા વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, “જો તમે પ્રાકૃતિક ખેતી તરફ વળશો તો પર્યાવરણ, ધરતી માતા અને ગૌમાતાની રક્ષા થશે, સાથે જ લોકોનું સ્વાસ્થ્ય સુધરશે અને જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે. વાવ- થરાદ જિલ્લાને પ્રાકૃતિક ખેતીમાં એક ‘મોડેલ જિલ્લો’ બનાવવા તેમણે જિલ્લા વાસીઓને અપીલ કરી હતી.

