આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં અંગદાતા મહિલાઓને બિરદાવતો કાર્યક્રમ યોજાયો
મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને ગાયિકા કિંજલ દવે દ્વારા અંગદાતા મહિલાઓનું સન્માન કરાયું
Ahmedabad, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા અમદાવાદ ખાતે AMAમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને જાણીતી ગાયિકા સુશ્રી કિંજલ દવે ઉપસ્થિત રહ્યા હતા.
“She gave life beyond life” થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં એવી પ્રેરણાદાયી મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમણે અંગદાનના નિઃસ્વાર્થ નિર્ણય દ્વારા અનેક પરિવારોને નવજીવન આપ્યું છે.
આ અવસરે મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને ગાયિકા સુશ્રી કિંજલ દવે દ્વારા અંગદાતા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સંબોધતા મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સાચો વારસો ભૌતિક સંપત્તિ કે બેંક બેલેન્સથી નહીં, પરંતુ આવનારી પેઢીઓને આપેલા સદ્ગુણો અને મૂલ્યો દ્વારા રચાય છે. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓની નિઃસ્વાર્થ સેવા, સંવેદના અને સમર્પણભાવ સમાજ માટે પ્રેરણારૂપ છે. અંગદાન દ્વારા એક જીવનનો અંત અનેક જીવનોમાં નવી આશા પ્રગટાવે છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે અંગદાન જેવી માનવતાવાદી પહેલોને પ્રોત્સાહન આપીને અને સેવા સેતુ જેવા જનસંપર્ક કાર્યક્રમો દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓ તથા સહાય જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે સૌએ સહભાગી થવું જોઈએ.
આ પ્રસંગે ગાયિકા સુશ્રી કિંજલ દવેએ જણાવ્યું હતું કે સંગીતના મંચ દ્વારા કલા પીરસવી એ તેમનો વ્યવસાય છે, પરંતુ સમાજ માટે કામ કરવાની તક મળે ત્યારે સાચો સંતોષ અનુભવાય છે. અંગદાન અંગે જાગૃતિ ફેલાવીને વધુને વધુ જીવન બચાવવાનો સંકલ્પ લેવો જરૂરી છે.
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી દિલીપ દેશમુખે જણાવ્યું હતું કે વર્ષ 2020માં અંગ પ્રત્યારોપણના કારણે તેમને નવું જીવન મળ્યું છે. તેમણે સૌને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા અને આ માનવતાવાદી અભિયાન સાથે જોડાવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અંગદાતા મહિલાઓ, નાગરિકો તેમજ શેલ્બી હોસ્પિટલ્સનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

