અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નારણપુરામાં વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે
સોસાયટીની જે મૂળ જગ્યા છે તેના માલિક ધર્મેશ પટેલ છે એટલે કે કાંતિલાલ પટેલે ખોટી રીતે બનાવીને મકાન વેચ્યા હતા.
સુપ્રીમ કોર્ટ દ્વારા 79 કરોડ રૂપિયાને બદલે પ્રવર્તમાન જંત્રી મુજબના નાણા એટલે કે 41 કરોડ તા.૩૦/૦૯/૨૪ સુધીમાં જમા કરાવવા અથવા પ્લોટનો ખુલ્લો કબજો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સોંપવા આદેશ કરવામાં આવેલ.
(પ્રતિનિધિ) અમદાવાદ, થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં 25 મકાન આવેલા છે.આ સોસાયટીની સ્થાપના 1983માં થઈ હતી. કાંતિલાલ પટેલ નામના બિલ્ડરે સોસાયટીમાં 1985માં બે લાખ રૂપિયાના ભાવથી 25 મકાન વેચ્યા હતા. 25 પૈકી 20 મકાન ONGCના કર્મચારીઓએ લોનથી ખરીદ્યા હતા.
બિલ્ડર કાંતિ પટેલે મકાન વેચ્યા બાદ સોસાયટીમાં 40 વર્ષથી રહીશો રહેતા હતા. ત્યારે થોડા સમય અગાઉ રહીશોને જણાવવામાં આવ્યું હતું કે સોસાયટીની જે મૂળ જગ્યા છે તેના માલિક ધર્મેશ પટેલ છે એટલે કે કાંતિલાલ પટેલે ખોટી રીતે બનાવીને મકાન વેચ્યા હતા. જેનો ભોગ સોસાયટી ના સભ્યો 35 વર્ષ બાદ બની રહયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીના સભ્યોને નારણપુરા માં વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ના સૂત્રોએ જણાવ્યા મુજબ હાલમાં સ્નેહાંજલિ સોસાયટી જે જગ્યાએ છે તે વિસ્તાર મૂળ ઔડા હસ્તક હતો. વર્ષ 1983- 84 માં સ્નેહાંજલિ સોસાયટીના સભ્યોએ સરવે નંબર 113 / 2 પૈકીની જમીન વેચાણથી ખરીદેલ.
ટીપી સ્કીમની જોઈએ આ સર્વે નંબરની જગ્યાએ એફપી 68 ની ફાળવણી અન્ય જગ્યાએ કરવામાં આવેલ. સોસાયટીના સભ્યોને તેમને જે એફ પી માં જગ્યા ફાળવવામાં આવેલ હતી તે બાબતે જાણ હોવા છતાં તેમણે પોતાના સર્વે નંબરની મૂળ જગ્યા પર વર્ષ 1989 માં બાંધકામ શરૂ કરેલ. આથી આ સર્વે નંબરની જગ્યા જે માલિકોને FP તરીકે ફાળવવામાં આવેલ હતી તેમણે વર્ષ 1989માં તેનો વાંધો ઔડા સમક્ષ ઉઠાવ્યો હતો.
ઔડા દ્વારા સ્નેહાંજલી સોસાયટીના રહીશોને ગેરકાયદેસર બાંધકામ બાબતે નોટિસ ઈસ્યુ કરવામાં આવેલ. આમ સ્નેહાંજલિ સોસાયટીના રહીશો એ બાબતથી વાકેફ હતા કે તેઓ એવી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે કે જે જગ્યાએ તેમની માલિકીની નથી. આ નોટિસની સામે રહીશોએ સીટી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલ અને કોર્ટ દ્વારા બાંધકામ દૂર કરવા બાબતે મનાઈ હુકમ ઇસ્યુ કરવામાં આવેલ.
સ્નેહાંજલિ સોસાયટીના રહીશોએ સર્વે નંબર 113 / 2 ની જમીન તેના મૂળ માલિકોના પાવર ઓફ એટર્ની હોલ્ડર પાસેથી ખરીદેલ. આ સર્વે નંબરના મૂળ માલિકોએ સદર જમીનના વેચાણના હકો પાવર ઓફ એટર્નીને આપેલ ન હતા. આથી જમીનના મૂળ માલિકોએ રેવન્યુ ઓથોરિટીને આ વેચાણ તેમના દ્વારા થયેલ ન હોવાનું જણાવ્યું.
આ બાબતને ધ્યાને લઈ રેવન્યુ રેકર્ડ પર વર્ષ 1997માં સ્નેહાંજલિ સોસાયટીની સર્વે નંબર 113/2 પરની માલિકી બાબતની એન્ટ્રી રદ કરતો હુકમ થયો. આ દરમિયાન સદર સર્વે નંબરની જગ્યા FP તરીકે જેમને ફાળવવામાં આવેલ હતી તેના માલિકો દ્વારા સ્નેહાંજલી સોસાયટી સામે સીટી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો. સીટી સિવિલ કોર્ટમાં થયેલ દાવા
અને પ્રતિદાવાથી સદર બાબતનું નિરાકરણ ન આવતા, સર્વે નંબર 113/2 ની જગ્યા જે માલિકોને ફાળવવામાં આવેલ હતી તે જગ્યા એટલે કે FP નંબર 65 ના માલિકોએ (હાલની નિધી સોસાયટીએ) નામદાર હાઇકોર્ટ સમક્ષ વર્ષ 2003માં સદર જગ્યાનો ખુલ્લો કબજો મેળવવા માટે અપીલ દાખલ કરેલ.

