નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતને લઈને ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને ઈંધણની ક્યાંય પણ અછત નથી. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. કંપનીએ સ્પષ્ટપણે કહ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી, પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઈન કોઈપણ અવરોધ વિના સરળતાથી ચાલી રહી છે. ભારત પેટ્રોલિયમે એમ પણ કહ્યું કે ભારત પેટ્રોલ અને ડીઝલનો ચોખ્ખો નિકાસકાર છે અને તેની પાસે ક્રૂડ ઓઈલ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)નો પૂરતો ભંડાર છે.
BPCLએ લોકોને અપીલ કરી છે કે તેઓ ગભરાટમાં પેટ્રોલ પંપ પર દોડી ન જાય અને માત્ર સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખે. BPCL એ પણ ખાતરી આપી છે કે તે અવિરત ઇંધણ પુરવઠા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
એ જ રીતે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ પણ સોશિયલ મીડિયા પર જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કોઈ અછત નથી. કંપનીએ ગ્રાહકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા અને સામાન્ય રીતે ઇંધણનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા જણાવ્યું હતું. HPCL એ ખાતરી આપી કે તેનું નેટવર્ક અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ રીતે કાર્યરત છે.
દરમિયાન, સરકારે પણ પરિસ્થિતિ સ્પષ્ટ કરી અને કહ્યું કે દેશની તમામ રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા પર કામ કરી રહી છે અને ઇંધણનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ મંગળવારે માહિતી આપી હતી કે દેશમાં 18,700 ટન કોમર્શિયલ એલપીજીનો સપ્લાય કરવામાં આવ્યો છે અને 1 લાખથી વધુ પેટ્રોલ પંપ સામાન્ય રીતે કાર્યરત છે.
તેમણે કહ્યું કે પીએનજી કનેક્શનનો પણ ઝડપથી વિસ્તાર કરવામાં આવી રહ્યો છે અને માત્ર એક જ દિવસમાં 7,500 નવા ડોમેસ્ટિક અને કોમર્શિયલ કનેક્શન આપવામાં આવ્યા છે. સરકાર એલપીજી સપ્લાયને વધુ મજબૂત કરવા માટે સતત નવા સ્ત્રોતો પર કામ કરી રહી છે, જેથી કોઈ અછત ન રહે.

