ભાવનગર, ભાવનગરના માલણકા ગામે એક ૨૧ વર્ષીય રત્નકલાકાર યુવાનની ગામની યુવતી સાથેના પ્રેમસંબંધની જાણ થતાં યુવતીના ભાઇ સહિત ત્રણ વ્યક્તિએ યુવકની નિર્મમ હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.
યુવકને વાડીએ બોલાવી તેના જ પરિચિત શખ્સોએ બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવને પગલે સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, માલણકા ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા રાધેશભાઈ મનસુખભાઈ બારૈયા (ઉ.૨૧) સવારે ઘરેથી નીકળ્યા બાદ બપોર સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન, સાંજના સમયે રાધેશના મિત્ર નીતિનભાઈ પર ફોન આવ્યો હતો કે રાધેશ ગામની સીમમાં આવેલી એક વાડીમાં ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો છે.
પરિવારજનો તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા, જ્યાં રાધેશ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યાે હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, મૃતક રાધેશને રાહુલ બારૈયાની બહેન સાથે પ્રેમસંબંધ હતો, જે બાબતનો ખાર રાખી રાહુલ ધનજીભાઈ બારૈયા, જયેશ ધીરૂભાઈ બારૈયા અને મનોજ જેન્તીભાઈ બારૈયાએ રાધેશને વાડીએ બોલાવી ઝઘડો કર્યાે હતો.
ત્યારબાદ ઉશ્કેરાયેલા શખ્સોએ લાકડાના ધોકા અને અન્ય બોથડ પદાર્થાે વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. વરતેજ પોલીસના ઇન્ચાર્જે મીડિયાને જણાવ્યું હતું કે, આ મામલે હત્યાનો ગુનો નોંધી હાલ ફરાર ત્રણેય શખ્સોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.SS1MS

