(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકા ના દવાપુરા ગામના જોરાપુરા વિસ્તારમાં રહેતા એક ખેડૂતના બેંક ખાતામાંથી કોઈ ગઠિયા ગેંગે ઓટીપી કે કોઈપણ લિંક મોકલ્યા વિના બારોબાર રૂપિયા ૧,૩૩,૧૦૦ ઓનલાઇન ઉપાડી લઈ છેતરપિંડી કરી હોવાનો બનાવ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે
મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના દવાપુરા ગામના જોરાપુરા વિસ્તારમાં રહેતા ખેડૂત રણજીતભાઈ જશાભાઈ પરમાર નડિયાદના સાઈ આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રની શાખામાં બચત ખાતું ધરાવે છે. આ બેંક ખાતામાં તેમનો મોબાઈલ નંબર રજીસ્ટર થયેલ ન હોવાથી, બેંકના તમામ વ્યવહારના મેસેજ ખેડૂત રણજીતભાઈ ના પુત્ર શૈલેષભાઈના મોબાઈલ પર આવતા હતા.
ખેડૂતના બેંક ખાતામાં ગત તારીખ ૩૧/૧૨/૨૦૨૫ના રોજ રૂપિયા ૧,૩૩,૦૮૩ જમા હતા. ત્યારબાદ તેમણે કોઈ ઉપાડ કર્યો ન હતો.દરમિયાન ખેડૂત રણજીતભાઈના પુત્રના મોબાઈલ પર જાન્યુઆરી ૨૦૨૬ની શરૂઆતમાં બેંકના કેટલાક મેસેજ આવ્યા હતા, પરંતુ ખેડૂત અને પુત્રને એમ લાગ્યું કે આ રકમ સરકારી સહાય અથવા જમીન ધોવાણના વળતર પેટે જમા થઈ રહી છે, જેથી ખેડૂત રણજીતભાઈએ તે સમયે ધ્યાન આપ્યું ન હતું.
ગત તા. ૨૧/૦૨/૨૦૨૬ના રોજ જ્યારે તમાકુના વેપારીએ ખેડૂતના ખાતામાં રૂપિયા ૧,૬૦,૦૦૦ જમા કરાવ્યા હોવાનું જણાવ્યું, ત્યારે ખેડૂત રણજીતભાઈ બેંકમાં ખાતરી કરવા ગયા હતા. બેંકમાં પાસબુકમાં એન્ટ્રી કરાવતા ખેડૂતને માલુમ પડ્યું કે તેમના ખાતામાં માત્ર રૂપિયા ૧,૬૩,૪૩૫ જેવી રકમ જ જમા હતી, જ્યારે ગણતરી મુજબ ખાતા માં રૂપિયા ૨,૯૩,૦૦૦ની આસપાસ જમા હોવા જોઈતા હતા
જેથી ખેડૂત રણજીતભાઈએ બેંક કેશિયર પાસે તપાસ કરતા જાણવા મળ્યું કે, તેમના બેંક ખાતામાંથી તારીખ ૩ જાન્યુઆરી ૨૦૨૬ થી તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૩ ના સમયગાળા દરમિયાન દસ વખત થઈ ઓનલાઇન રૂપિયા ૧,૩૩,૧૦૦ ઉપડી ગયા હોવાનું સામે આવ્યું હતું
આમ સાયબર માફિયાઓએ કોઈ ઓટીપી વિના તેમજ લિંક મોકલ્યા વિના ખેડૂત રણજીતભાઈ ના બેન્ક ખાતામાંથી રૂપિયા ૧,૩૩,૧૦૦ જેટલી માતબર રકમ ઓનલાઈન ઉપાડી લીધી હતી દરમિયાન ખેડૂત દ્વારા આ અંગે જે તે સમયે ૧૯૩૦ હેલ્પ લાઇન નંબર પર ફરિયાદ કરી હતી નડિયાદ ગ્રામ્ય પોલીસે આ અંગે ઓનલાઇન છેતરપિંડીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

