ભારતીય જનતા પક્ષે કેવા કાચા કાર્યકરોને ટિકિટ આપીને વિધાનસભામાં મોકલ્યા છે તેના ઉદાહરણો અવારનવાર સામે આવતા રહે છે. તાજેતરમા તેનો એક તાજો દાખલો સામે આવ્યો છે.
વાત જાણે એમ બની કે ઉનાથી ચૂંટાયેલા ધારાસભ્ય કે. સી. રાઠોડ એક જાહેર કાર્યક્રમમાં વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે તેઓ એવું બોલ્યા કે ‘અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા……’ વગેરે વગેરે.
આમ રાઠોડે પૂર્વમંત્રીને મુખ્યમંત્રી બનાવી દીધા હતા.ભા.જ.પ.ના વર્તમાન ધારાસભ્યને હાલના મુખ્યમંત્રીનું નામ પણ યાદ ન રહેતું હોય તો એ સ્થિતિ શું સૂચવે છે? એ સૂચવે છે કે મુખ્યમંત્રી અને ધારાસભ્ય વચ્ચે મળવાનાં પ્રસંગો ખૂબ ઓછા બને છે.

મજાની વાત તો એ છે કે ધારાસભ્ય રાઠોડે આ ભાંગરો વાટ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને જિલ્લા ભાજપના પ્રમુખ ડો.સંજય પરમાર પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા!
કૃષિ મંત્રી જિતુ વાઘાણી પર વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરી ખાસ ધ્યાન આપે છે

ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ વિભાગના મંત્રી જિતુ વાઘાણીનું ચાલું વિધાનસભાના સત્ર દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ખાસ ધ્યાન રાખતા હોવાનું દેખાય છે.
ગત તા.૨૭મીએ બપોરે ૧-૩૦ વાગ્યે મળેલી બેઠકમાં જિતુ વાઘાણી એક પ્રશ્નનો લાંબો જવાબ આપતા હતા ત્યારે અધ્યક્ષ ચૌધરીએ મંત્રી વાઘાણીને બોલતા અટકાવીને કહ્યું હતું કે મંત્રી મહોદય આપે ૬ મિનિટ સુધી ખૂબ લાંબો જવાબ આપ્યો છે હવે એ પૂર્ણ કરો એમ કરીને જિતુ વાઘાણીને બેસાડી દીધા હતા.
આ પ્રશ્નોતરી કાળ દરમિયાન જ જિતુ વાઘાણી વિરોધ પક્ષ તરફ મોઢું રાખીને બોલતા હતા ત્યારે અધ્યક્ષે એમને ફરી ટપાર્યા કે મંત્રીશ્રી મારી સામું જોઈને બોલો, વિરોધ પક્ષ તરફ જોઈને નહીં! અને એક વખત તો જિતુ વાઘાણીને એવું પણ કહ્યું કે પ્રશ્નમાં માંગી હોય એટલી વિગતો જવાબમાં આપો. ટૂંકમાં અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી જિતુ વાઘાણી વચ્ચે થોડો તણાવ છે એવું સૌને દેખાય છે.
વિધાનસભા ચાલું હોય ત્યારે પણ મંત્રીઓ ચેમ્બરમાં મળતા નથી?

