શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી શ્રી ગોવિંદ દેવગિરિ મહારાજે હાજરી આપી
‘ધર્મ’ અને ‘ધમ્મ’ આ બંને શબ્દો અને તેના ગહન ખ્યાલ,ભારતભૂમિની વિશ્વને દેન: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
·જે હું મારા માટે ઈચ્છું,તે જ બીજા માટે કરું તે ધર્મ.’
·જેનો અમલ કરવાથી વ્યવસ્થા અને સંસાર ટકી જાય,તે જ ધર્મ છે
·ઈશ્વરના સદગુણોને જાણવાથી અને અનુસરવાથી ઈશ્વર મળે છે
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૯મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદ ૨૦૨૫નો આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાંગણમાં શુભારંભ થયો હતો.
આ પ્રતિષ્ઠિત પરિષદનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કર્યું હતું,જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી,આંતરરાષ્ટ્રીય મહેમાનો અને વિવિધ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદની મુખ્ય થીમ ‘કર્મ,પુનઃજન્મ,દેહાંતરણ અને અવતાર સિદ્ધાંત’ છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી આ પરિષદમાં ઉપસ્થિત જ્ઞાનપિપાસુ શ્રોતાઓને સંબોધન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, ‘ધર્મ’ અને ‘ધમ્મ’ આ બંને શબ્દો અને તેના ગહન ખ્યાલ,ભારતભૂમિની વિશ્વને દેન છે.
તેમણે ભારતીય શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” અર્થાત જે ધર્મની રક્ષા કરે છે,ધર્મ તેની રક્ષા કરે છે. આ વિભાવનાને વિશાળ દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે. પ્રથમ તો ધર્મની વ્યાખ્યા સમજવી પડે,ધર્મ એટલે શું તે જાણવું પડે. ધર્મ વિશેની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે,જે મુજબ, ‘જે હું મારા માટે ઈચ્છું,તે જ બીજા માટે કરું તે ધર્મ.’
પોતાના વક્તવ્યમાં શાસ્ત્રોને ટાંકીને રાજ્યપાલશ્રીએ કહ્યું કે, “श्रूयतांधर्मसर्वस्वंश्रुत्वाचअवधार्यताम्|आत्मन:प्रतिकूलानिपरेषांनसमाचरेत्||”.અર્થાત્ સત્ય અને દયા પરમેશ્વરે સૌમાં મૂક્યાં છે અને તે સૌને પ્રિય છે. સૌ કોઈ ઈચ્છે છે કે મારી સાથે સત્ય વ્યવહાર થાય,મારી સાથે ક્રૂર વ્યવહાર ન થાય. પણ જેવી તે અપેક્ષા રાખે છે,તેવું તે બીજા સાથે આચરતો નથી. જો મનુષ્ય પોતે પણ તેવું જ આચરે તો ધર્મની માંગલિક સ્થિતિનાં દર્શન થાય.
રાજ્યપાલશ્રીએ વધુમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે,હિંસા-અહિંસા,સત્ય-અસત્ય,પરિગ્રહ-અપરિગ્રહ આમાંથી ધર્મ શું છે અને અધર્મ શું છે તે ચકાસવું હોય તો એ જોવું પડે કે કોણ વધુ ટકે છે અને શું શાશ્વત છે. અહિંસા કે હિંસા,સત્ય કે અસત્ય,જેનો અમલ કરવાથી વ્યવસ્થા અને સંસાર ટકી જાય,તે જ ધર્મ છે.

