પાલનપુર, દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે વહેલી પરોઢે સફેદ કલરની કાર પટેલવાસના બોર્ડ પાસે બાવળના ઝાડ સાથે ટકરાતાં ગાડીમાં આગ લાગી હતી. જે ઘટનાને પગલે ગાડીમાં બેઠેલા ચાલક તેમજ અન્ય એક આગમાં સળગી જતાં બંનેનાં મોત થવા પામ્યાં હતા. પોલીસ તપાસમાં મૃતક એક વ્યક્તિ દાંતીવાડાના મારવાડા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજો વ્યક્તિ ક્યાંનો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામ પાસે વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ માલપુરીયાથી જેગોલ જતા રોડ ઉપર એક સફેદ કલરની આઇ-૨૦ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે હંકારતાંઓઢવા ગામે પટેલવાસના બોર્ડ પાસે બાવળના ઝાડ સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં કાર ચાલકને તથા તેની બાજુમાં બેઠેલા વ્યકિતને ઇજાઓ થતાં બેભાન થઇ ગયા હતા. તે વખતે ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ચાલક તથા તેની બાજુમાં બેઠેલો વ્યકિત ગંભીર રીતે દાઝી ગયા હતા તેમજ તેમના કપડાં પણ બળી જતાં ઓળખ પણ થઇ શકી નહોતી તથા ગાડીની નંબર પ્લેટ પણ બળી જતાં ગાડીનો નંબર પણ જાણી ન શકાતાં ઓઢવા ગામના પિયુષભાઇ ચૌધરીએ ઘટના વિશે પોલીસ મથકે લેખિત જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસ તપાસમાં મૃતક બે પૈકી એક વ્યક્તિ દાંતીવાડા તાલુકાના મારવાડા ગામનો ગણેશભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું.SS1MS

