વિધાનસભાના ગૃહમાં જર્જરિત શાળાઓ અને જર્જરિત ઓરડાના મુદ્દા પર ચર્ચા!
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભાનું વર્ષ ૨૦૨૬ અને ૨૭નું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ચોથા દિવસની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. જોકે આજે પ્રશ્નોત્તરીમાં શિક્ષણ વિભાગના મુદ્દાઓએ ચર્ચા જગાવી હતી.
વિધાનસભાના ગૃહમાં શાળામાં ઓરડાની ઘટ તેમજ જર્જરિત શાળાઓ અને શાળામાં જર્જરિત ઓરડાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. કોંગ્રેસના વાંસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલે આજે નવસારી અને ડાંગ જિલ્લામાં જર્જરિત શાળાઓ અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
આ પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ નવસારી જિલ્લામાં ૧૨ શાળાઓ અને ડાંગ જિલ્લામાં પાંચ શાળાઓમાં ઓરડા જર્જરિત હોવાની કબૂલાત કરી હતી. તેમજ જર્જરિત શાળાઓમાં નવસારીમાં ૬૬૦ અને ડાંગ જિલ્લામાં ૩૭૪ બાળકો અભ્યાસ કરતા હોવાની પણ કબૂલાત કરવામાં આવી હતી. સાથે જ કહ્યું હતું કે, ‘નવસારીમાં ૧૧૪ ઓરડાની મરામત કરાવવામાં આવી છે. જ્યારે ૭૦ જેટલા ઓરડા નવા બનાવવામાં આવ્યા છે. તો ડાંગ જિલ્લામાં પણ ૧૪ જર્જરિત ઓરડાની મરામત કરાવી છે. જ્યારે ૩૫ જેટલા ઓરડા ડાંગ જિલ્લામાં નવા નિર્માણ પામ્યા છે.’
નોંધનીય છે કે, આવી જ સ્થિતિ છોટાઉદેપુરમાં પણ જોવા મળી રહી છે. જ્યાં રાજ્ય સરકાર દ્વારા જર્જરિત ૧૫૬ જેટલા શાળાઓના ઓરડા તોડી નાખવામાં આવ્યા છે. જ્યારે ૨૫૪ જેટલા શાળાના ઓરડાનું નવું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે પૈકી ૨૦૫ ઓરડાનું બાંધકામ પૂર્ણ થયું હોવાનું પણ સરકારે કબૂલ્યું છે. જ્યારે ૪૯ જેટલા જર્જરિત શાળાના ઓરડાનું બાંધકામ પ્રગતિમાં હોવાનું પણ સરકારે આજે ગૃહમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ૪૨૪ શાળાઓમાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ૨૧૬.૮૨ કરોડના ખર્ચે મરામત કરવામાં આવી હોવાની તેમજ વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૭.૯૩ કરોડ અને વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૧૧.૯ કરોડની શાળા મેન્ટેનન્સની ગ્રાન્ટ બનાસકાંઠા જિલ્લામાં મંજૂર કરવામાં આવી હોવાનું સરકારે વિધાનસભા ગૃહમાં જાણકારી આપી છે.
જોકે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બનાવેલી પ્રાથમિક શાળાઓ અંગેની સ્થિતિનો ચિતાર માટે પ્રશ્ન કર્યો હતો. જે અંતર્ગત ૭૦ જેટલી શાળાઓ નવી બનાવવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું.
આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં પણ ૯૫૧ શાળામાં નવા ઓરડાની માંગણી કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લાની ૯૫૧ શાળામાં કુલ ૨૭૭૭ ઓરડા બનાવવા માટેની બે વર્ષથી માંગણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકાર દ્વારા ૨,૬૯૭ ઓરડા મંજૂર કરવામાં આવ્યા હોવાનો પણ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
જ્યારે ૧૧૯૭ ઓરડા માટે વર્ષ ૨૦૨૨થી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ કારણોસર ઇજારદાર ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈ શકતા ન હોવાનો પણ જવાબ સરકાર દ્વારા ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડને ગૃહમાં આપ્યો હતો. આમ વિધાનસભાના ગૃહમાં જર્જરિત ઓરડા તેમજ પંચમહાલ જિલ્લામાં શાળાના નવા રૂમ માટેનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.

