ગુજરાતના નવા મંત્રીમંડળની રચનાને એક માસ જેટલો સમય થયો હોવા છતાં સમગ્ર મંત્રીમંડળ હજુ થાળે નથી પડ્યું. આનુ કારણ એ છે કે (૧)ઃ-મંત્રીઓને હજુ કાયમી સ્ટાફ મળ્યો નથી. અરે, ટેલીફોન ઓપરેટર કે કમ્પ્યુટર ઓપરેટર પણ મંત્રીઓનાં કાર્યાલયને ઉપલબ્ધ થયા નથી.

એ ઉપરાંત (૨)ઃ-મંત્રીઓની સત્તાઓ અંગે પણ કોઈ સ્પષ્ટતાઓ થઈ નથી એટલે સરકારના જે વિભાગમાં કેબીનેટ અને રાજ્યકક્ષાના મંત્રી નિમાયા છે તે વિભાગો તેમની ફાઈલો રા. ક. ના મંત્રી મારફત કેબિનેટ મંત્રીને મુકવી કે સીધી કેબિનેટ મંત્રીને મુકવી એ અંગે દ્વિધા અનુભવે છે.
આમછતાં કેટલાક વિભાગો રા. ક. ના મંત્રીને ફાઈલ મોકલે છે અને કેટલાક વિભાગો હિંમત કરીને રા. ક. ના મંત્રીને કોરાણે મૂકીને ફાઈલ સીધી કેબિનેટ મંત્રીને જ મોક્લી આપે છે. આ પ્રવાહી સ્થિતિનો ઉકેલ લાવવાનો બાકી છે.
મુખ્યમંત્રીની કેબિનેટમા સૂચનાઃ સોમ/મંગળ હાજર રહો, પ્રભારી છો એ જિલ્લામાં જાઓ
ગુજરાત રાજ્યના પ્રવકતા મંત્રી જિતુ વાઘાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે “ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા. ૧૨/૧૧/૨૫ના રોજ મળેલી મંત્રીમંડળની બેઠકમાં પોતાના નવા સાથી મંત્રીઓને એવી સૂચના આપી હતી કે દર સોમવારે નાગરિકોને મળવાનાં દિવસે તથા દર મંગળવારે સંસદસભ્યો અને ધારાસભ્યોને મળવાનાં દિવસે મંત્રીઓએ ગાંધીનગરમાં અચૂક હાજર રહેવું તેમજ મંત્રીઓને પ્રભારી તરીકે જે જિલ્લો ફાળવવામાં આવ્યો હોય તેની અનિવાર્ય રીતે મુલાકાત લેવી.
” આ સૂચનાઓ પ્રથમ વખત નથી અપાઈ,અગાઉ પણ અપાઇ જ હતી. ફરીવાર આપવી પડી છે જે સૂચવે છે કે અગાઉ અપાયેલ સૂચનાનો અમલ યોગ્ય રીતે થયો નથી! આ વાંચી/સાંભળીને કોઇને ગુજરાતી કહેવત ‘શેઠની શીખામણ ઝાંપા સુધી’ એ યાદ આવે તો તેમાં તેમનો વાંક ન કાઢી શકાય હોં!
નિવૃત સનદી અધિકારી રાજકુમાર ગુપ્તાએ પુસ્તક લખ્યું

નિવૃત સનદી અધિકારીઓ પોતાના અનુભવ અંગે પુસ્તકો લખતા હોય છે! એમાં રાજીવ કુમાર ગુપ્તાનો પણ સમાવેશ થાય છે.
નોન ગુજરાતી આઈ. એ. એસ. અધિકારી ગુજરાતીમા પુસ્તક લખે ત્યારે એ કોક પાસે લખાવાયુ હોય અને તેમના નામે પ્રગટ થયું હોય એવી શક્યતા વધારે રહે!એમ જાણકારો કહે છે.

