પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૧૦૦ ટકા સ્ટેટ ટોપ-અપ યોજના અંતર્ગત લાભાર્થીને રૂ. ૫૦ હજારની સહાય: ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા
PM-JANMANયોજના અંતર્ગત આદિમજૂથના નાગરિકોને આવાસ નિર્માણ માટે રૂ. બે લાખની સહાય
વિધાનસભા ગૃહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળના લાભાર્થીઓને આર્થિક મદદ માટેની‘સ્ટેટ ટોપ-અપ યોજના’ની વિગતો આપતાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકનું ‘ઘરના ઘરનું’ સ્વપ્ન પૂર્ણ કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ૧૦૦ ટકા રાજ્ય ફાળાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ અંગે ગ્રામ વિકાસ મંત્રીએ કહ્યું કે વર્ષ ૨૦૨૫-૨૬થી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જેમના આવાસનાં કામો આર્થિક કારણોસર અધૂરા રહી ગયા હોય,તેઓ વધુ સારું અને સુવિધાયુક્ત મકાન બનાવી શકે તે માટે સહાયની રકમમાં રૂ. ૫૦ હજારની વધારાની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત,વર્ષ ૨૦૧૬-૧૭થી ર૦ર૩-ર૪ દરમિયાન કોઈ પણ કારણોસર અધૂરા રહેલા આશરે ૧૮,૦૦૦ જેટલા આવાસો પૂર્ણ કરવા માટે₹૯૦ કરોડની રકમની જોગવાઈ કરી છે. આ સહાયની ચૂકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)પદ્ધતિથી સીધી લાભાર્થીના બેંક ખાતામાં કરવામાં આવશે. આ નિર્ણયથી હજારો પરિવારો પોતાનું મકાન પૂર્ણ કરી શકશે તેમ,તેમણે ઉમેર્યું હતું.
જ્યારે રાજ્યમાં વસતાં કાથોડી,કોડવાળિયા,પઢાર,સિદ્દી અને કોલ્ગા જેવા આદિમજૂથોના નાગરિકોને આવાસ માટેનીPM-JANMANયોજના હેઠળ લાભાર્થીને રૂ. બે લાખની સહાય ચૂકવવામાં આવે છે.
જે અંતર્ગત વલસાડ જિલ્લાની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૬૭૧ અને વર્ષ ૨૦૨૫-૨૬માં તા. ૩૧ જાન્યુઆરી,૨૦૨૬ સુધીમાં ૧૨૦૫ લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી છે.
આમ,રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગ્રામીણ ક્ષેત્રે‘સૌને આવાસ’નું લક્ષ્ય વધુ ઝડપથી પૂર્ણ થશે તેવો વિશ્વાસ ગ્રામવિકાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

